Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં વિસ્ફોટ, 3 સૈનિક ઘાયલ

Shopian blast : વિસ્ફોટ હેન્ડ ગ્રેનેડ અથવા વાહનની અંદર પહેલાથી રખાયેલ IED દ્વારા કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાશ્મીર પોલીસ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરી છે.

Jammu-Kashmir : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં વિસ્ફોટ, 3 સૈનિક ઘાયલ
| Edited By: | Updated on: Jun 02, 2022 | 8:27 AM

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ફરી એકવાર વિસ્ફોટથી હચમચી ગયું છે. આઈજીપી કાશ્મીરે (IGP Kashmir) જાણકારી આપતા જણાવ્યુ છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના (Shopian District) સેડો ખાતે ભાડાના વાહનમાં વિસ્ફોટ થયો છે. કાશ્મીર ઝોન પોલીસે ગુરુવારે આઈજીપી કાશ્મીરને ટાંકીને ટ્વીટ કર્યું હતું કે શોપિયનના સેડો વિસ્તારમાં એક વાહન ભાડે લેવામાં આવ્યું હતું. તેમા વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ કોણે કર્યો તે શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગેની માહિતી પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે વિસ્ફોટ હેન્ડ ગ્રેનેડ અથવા વાહનની અંદર પહેલાથી સ્થાપિત IED દ્વારા કરાયો હતો. વાહનની બેટરી સાથે છેડછાડની કરવામાં આવી હતી કે નહી તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પહેલા બુધવારે શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ એક નાગરિકને તેના ઘર નજીક ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તે ઘાયલ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના જિલ્લાના કીગામમાં ફારૂક અહેમદ શેખના ઘર નજીક રાત્રે લગભગ 8:45 વાગ્યે બની હતી. તેમણે કહ્યું કે ઘાયલને નજીકની પુલવામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ફાયરિંગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દીધી હતી, જેથી હુમલાખોરો ભાગી ન શકે. જો કે, આતંકવાદીઓ દ્વારા સામાન્ય માણસને નિશાન બનાવવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

પુલવામામાં બે આતંકવાદીઓ માર્યા ગયા

નોંધનીય છે કે ઘાટીમાં ફરી એકવાર આતંકીઓ સક્રિય થયા છે. રાજ્યના વિવિધ ભાગોમાં સતત આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર અને ગોળીબારની ઘટનાઓની માહિતી મળી રહી છે. મંગળવારે પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારના રાજપોરામાં સોમવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું.

અધિકારીના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટરમાં બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે રાઈફલ અને ગુનાહિત સામગ્રી મળી આવી છે. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ સરકારી કર્મચારી સહિત નાગરિકોની હત્યામાં સામેલ હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથેર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે થઈ છે, એમ તેમણે ટ્વીટ કર્યું. શાહિદ અરીપાલની મહિલા શકીલા અને લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો અને અન્ય આતંકવાદી ગુનાઓમાં સામેલ હતો.

Follow Us