સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટ અંગેના નિર્ણય બાદ તરત જ ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પણ ફેસબુક લાઈવ પર વિધાન પરિષદના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું, “હું હવે નવી રીતે બહાર આવીશ. શિવસેનાને અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. હું વિધાન પરિષદમાંથી પણ રાજીનામું આપી રહ્યો છું.”
“I am resigning as the Chief Minister,” Maharashtra CM Uddhav Thackeray announces pic.twitter.com/RBDWHzchYx
— ANI (@ANI) June 29, 2022
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મને તેની પરવા નથી કે કોની પાસે કેટલા લોકો છે. તમે બધા જેની સાથે જવાના છો, કદાચ તેઓ આવતીકાલે બહુમત સાબિત કરી દેશે. જેણે તમને આશરો આપ્યો, આજે તમે તેમના પુત્રને મુખ્યપ્રધાનની ખુરશી પરથી નીચે ઉતારી દીધા છે. કાલે બધાને કહેજો કે તમે બાળાસાહેબ ઠાકરેના દીકરાને દગો આપ્યો જેણે તમને મોટો કર્યો.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ દ્વારા સુપ્રીમ કોર્ટ અને રાજ્યપાલનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે જે રીતે રાજ્યપાલે પત્ર દ્વારા કાર્યવાહી કરી અને ફ્લોર ટેસ્ટ માટે કહ્યું. શિવસૈનિકોને નોટિસ મોકલવામાં આવી રહી છે.
ઠાકરેએ કહ્યું કે મને દુઃખ છે કે જેને મેં ઘણું આપ્યું છે તે નારાજ છે. જેમણે કશું આપ્યું નથી તે આજે મારી સાથે છે. બળવાખોરો હવે ઠાકરે પરિવારને ભૂલી ગયા છે. મારે રાજ્યપાલનો આભાર માનવો છે કે તેઓ પત્ર મળ્યા પછી તરત જ સક્રિય થઈ ગયા. બળવાખોરોનો ગુસ્સો શું છે? શિવસૈનિકોને નોટિસ મોકલવામાં આવી રહી છે. કેમ કોઈ આવીને મારી સાથે સીધી વાત નથી કરતું? શિવસેનાએ નાના લોકોને મોટા કર્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પરંતુ જ્યારે બધુ બરાબર ચાલતું હોય ત્યારે નજર લાગી જાય છે. કદાચ આ વખતે પણ એવું બન્યું હશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ પર કહ્યું કે અમે કેટલાક જિલ્લાઓના નામ બદલી નાખ્યા છે. ઔરંગાબાદનું નામ સંભાજી નગર રાખવામાં આવ્યું છે. ઉસ્માનાબાદનું નામ ધારશિવ રાખવામાં આવ્યું છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. અમારા સારા કાર્યોની નોંધ લેવામાં આવી. મને એ વાતનું દુઃખ છે કે આજે જ્યારે કેબિનેટની બેઠક ચાલી રહી હતી, ત્યારે માત્ર ચાર મંત્રી જ હાજર હતા, બાકીના ક્યાં છે તે તમે બધા જાણો છો. કોંગ્રેસ અને એનસીપીએ આજે અમારી દરખાસ્તોનો વિરોધ કર્યો ન હતો, જેઓને સમર્થન આપવું હતું તે જ ગાયબ છે.
Published On - 9:44 pm, Wed, 29 June 22