
દેશભરમાં પ્રખ્યાત કેતન અગ્રવાલ કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે. મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીને સોમવારે 29 જૂને તેમની પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટરૂમમાં પોલીસ, સરકારી વકીલો અને આરોપીના વકીલો વચ્ચે તેમના રિમાન્ડ લંબાવવા અંગે ચર્ચા થઈ હતી. પોલીસે તપાસ ચાલુ હોવાનું જણાવી આરોપીની કસ્ટડી સાત દિવસ લંબાવવાની વિનંતી કરી હતી. સરકારી વકીલો અને પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે સમગ્ર ઘટના પાછળ એક પૂર્વનિયોજિત કાવતરું છે. જેનો પર્દાફાશ હજુ બાકી છે. ત્યારબાદ કોર્ટે મુખ્ય આરોપી સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.
ઘટના પછી આરોપીઓએ તેમના મોબાઇલ ફોનમાંથી નોંધપાત્ર પ્રમાણમાં ડેટા ડિલીટ કર્યો છે. ચેતને પોતાનો ફોન સંબંધીઓને પણ આપ્યો હતો. પોલીસ આ ડિલીટ કરેલા ડેટા અને સોશિયલ મીડિયાની હિસ્ટ્રી રિકવર કરવા માંગે છે.
પોલીસને શંકા છે કે આરોપીઓ લોહાગઢ કિલ્લા પર ગયા હતા. જ્યાં તેમણે અન્ય સાથીદારોનો સંપર્ક કર્યો હતો. સાથે કિલ્લાની અગાઉથી રેકી પણ કરી હતી. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.
સિયા ગોયલ પર આરોપ છે કે તેણે પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે બાલી જવાનું ટાળવા કેતનનો પાસપોર્ટ ફાડી નાખ્યો અથવા ફેંકી દીધો હતો. પોલીસ હવે તે પાસપોર્ટ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે કોર્ટમાં ખાસ દલીલ કરી હતી કે ઘટના સમયે ચેતન ચૌધરીએ પહેરેલા કપડાં પુરાવા તરીકે જપ્ત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીજી બાજુ સિયા ગોયલના વકીલ વિપુલ દુશિંગે પોલીસની માંગણીઓનો સખત વિરોધ કર્યો હતો. વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કોઈ પોલીસ કસ્ટડીની જરૂર નથી. બચાવ પક્ષની મુખ્ય દલીલો નીચે મુજબ હતી.
ટેકનિકલ તપાસનું બહાનું: વકીલે દલીલ કરી હતી કે જ્યારે તપાસ સંપૂર્ણપણે ટેકનિકલ (મોબાઇલ ડેટા અને ડિજિટલ ફોરેન્સિક્સ) છે. ત્યારે આરોપીને કસ્ટડીમાં રાખવાનું કોઈ વાજબીપણું નથી.
ધરપકડના નિયમોનું ઉલ્લંઘન: પંકજ બંસલ અને નિમિત ભુટા કેસનો ઉલ્લેખ કરતા વકીલ દુશિંગે દલીલ કરી હતી કે ધરપકડના કારણોમાં નોંધપાત્ર વિસંગતતાઓ છે. જે ધરપકડને કાયદેસર રીતે શંકાસ્પદ બનાવે છે.
મીડિયા ટ્રાયલ સામે વાંધો: બચાવ પક્ષનો આરોપ છે કે પોલીસ તપાસ પહેલાં મીડિયામાં બધા સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. વકીલે માંગ કરી હતી કે આ મીડિયા ટ્રાયલ તાત્કાલિક બંધ કરવામાં આવે. કારણ કે જ્યારે બધું મીડિયામાં આવી ચૂક્યું છે ત્યારે તેનો અર્થ એ છે કે પોલીસ તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે.
કોર્ટે સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી વડગાંવ માવલ કોર્ટે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. પોલીસનો દાવો છે કે આ હત્યા એક સુનિયોજિત કાવતરાનો ભાગ હતી અને બંને આરોપીઓએ તેનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે વધુ પૂછપરછ માટે બંને આરોપીઓની પોલીસ કસ્ટડી લંબાવવાની મંજૂરી આપી છે.
આ પણ વાંચો, Ketan Agrawal Murder Case : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !