Omicron : અન્ય રાજ્યોમાંથી આવનારાઓના RT-PCR ટેસ્ટ મુદ્દે મૂંઝવણ, મહારાષ્ટ્ર સરકાર-આરોગ્યપ્રધાનના અલગ અલગ નિવેદનો, આખરે કેન્દ્રે લગાવી ફટકાર

મહારાષ્ટ્ર વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટિંગ જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ જરૂરી ગણાવ્યો નથી.

Omicron : અન્ય રાજ્યોમાંથી આવનારાઓના RT-PCR ટેસ્ટ મુદ્દે મૂંઝવણ, મહારાષ્ટ્ર સરકાર-આરોગ્યપ્રધાનના અલગ અલગ નિવેદનો, આખરે કેન્દ્રે લગાવી ફટકાર
| Edited By: | Updated on: Dec 02, 2021 | 6:50 AM

કોરોનાના ઓમિક્રોન  (Omicron) વેરિયન્ટના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રએ (Maharashtra) ફરી એકવાર નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ આરોગ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope)  દ્વારા આપવામાં આવેલા નિયમોમાં ફરક છે. જેના કારણે મૂંઝવણ સર્જાઈ છે મહારાષ્ટ્ર પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા નિયમોમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટિંગ જરૂરી હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ અન્ય રાજ્યોમાંથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ જરૂરી ગણાવ્યો નથી. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે મંત્રી અને મહારાષ્ટ્ર પ્રશાસન આ મામલે એક પેજ પર નથી.

અન્ય વિભાગોમાં પણ આ સ્થિતિ છે. 1 ડિસેમ્બરથી પ્રથમ ધોરણથી શાળા ખોલવાની શિક્ષણ વિભાગની દરખાસ્તને આરોગ્ય વિભાગે લીલી ઝંડી આપી દીધી હતી. રાજેશ ટોપેએ પણ આ અંગે જાહેરાત કરી હતી. બીજા જ દિવસે, મુંબઈ, પુણે, નાસિક, ઔરંગાબાદની મ્યુનિસિપલ કોર્પોરેશને શાળા ખોલવાની સ્પષ્ટ ના પાડી દીધી.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે પણ આ કારણસર ઠપકો આપ્યો હતો

રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની સુમેળમાં પણ આ મૂંઝવણ દેખાઈ રહી છે. મંગળવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રને અપીલ કરી હતી. સીતારામ કુંટેને ચીફ સેક્રેટરીના પદ માટે એક્સટેન્શન આપવાની વાત કરવામાં આવી તો કેન્દ્રએ ના પાડી દીધી. ઉતાવળમાં દેબાશિષ મુખર્જીને તાત્કાલિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા. બુધવારે મહારાષ્ટ્ર કોરોના ટેસ્ટિંગના પોતાના અલગ નિયમો લાગુ કરી રહ્યું હતું. બપોર સુધીમાં, કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્યના આરોગ્ય વિભાગને ઠપકો આપ્યો અને તેને કેન્દ્રના નિયમોના આધારે નિયમો નક્કી કરવા નિર્દેશ આપ્યો.

આ સીધી વાત છે, જ્યારે કેન્દ્ર સરકાર, ઓમિક્રોનના જોખમોને સમજીને, તમામ રાજ્યો માટે માર્ગદર્શિકા અને સૂચનાઓ જાહેર કરી રહી છે, તો પછી મહારાષ્ટ્રને તેની પોતાની અલગ મેન્યુઅલ બહાર પાડવાની શું જરૂર છે? જો એક દેશમાં એક જ નિયમ હોય તો વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા-જતા લોકો માટે મૂંઝવણ નહીં રહે.

આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ શું કહ્યું?

રાજેશ ટોપેએ કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દેશના કોઈપણ ભાગમાંથી મહારાષ્ટ્ર આવી રહી છે અને તેણે રસીના બંને ડોઝ લીધા છે, તો તેને RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર રહેશે નહીં. પરંતુ ઉચ્ચ જોખમવાળા દેશોમાંથી આવનાર વ્યક્તિની છેલ્લા 15 દિવસની મુસાફરીની હિસ્ટ્રી તપાસવામાં આવશે. વિદેશથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ અને સાત દિવસની ક્વોરેન્ટાઇન જરૂરી રહેશે. જો તે પછી ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે, તો તે પ્રવાસી તેના કામ પર જઈ શકશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમો કયા હતા?

પરંતુ રાજ્યના વહીવટી અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા મેન્યુઅલમાં લખવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રની બહારથી આવતા મુસાફરો પાસે 48 કલાકની અંદર કરવામાં આવેલો RTPCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોવો જોઈએ. આ માર્ગદર્શિકા પર મુખ્ય સચિવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

કેન્દ્રએ રાજ્ય સરકારને કહ્યું- તમારા પોતાના નિયમો લાદશો નહીં

આ પછી, કેન્દ્રીય આરોગ્ય વિભાગે, 30 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયંત્રણો અને નિયમોને ઠપકો આપતા સ્પષ્ટ કહ્યું કે તમારા પોતાના નિયમો લાદશો નહીં. જો સમગ્ર દેશમાં એકસમાન નિયમો નહીં હોય તો લોકોમાં મૂંઝવણ સર્જાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના પત્રમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે રાજ્યના નિયમો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમોથી અલગ છે. કેન્દ્રની સલાહના આધારે રાજ્યએ પોતાના નિયમો નક્કી કરવા જોઈએ. જેથી સમગ્ર દેશમાં સમાન નિયમો લાગુ કરી શકાય.

આ પણ વાંચો :  ઓમિક્રોન વેરિઅન્ટના જોખમવાળા દેશોમાંથી 3,476 મુસાફરો આવ્યા ભારત, કોરોના ટેસ્ટમાં મળ્યા 6 લોકો સંક્રમિત

Follow Us