મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) ફરી એકવાર મુશ્કેલીમાં ફસાયા છે. રાણા દંપતી સહિત 14 કામદારો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવા, શરતોનું ઉલ્લંઘન કરીને રેલી કાઢવા અને ભીડને એકત્ર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. 36 દિવસ પછી તેમના ઘરે પરત ફર્યા બાદ, રાણા દંપતીના સમર્થકોએ શનિવાર (28 મે) ની રાત્રે અમરાવતીમાં જોરદાર સ્વાગત કર્યું. પોતાના ઘરની સામેના રોડ પર સ્ટેજ બનાવ્યું, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર લગાવીને કાર્યક્રમ યોજ્યો હતો, રેલી કાઢી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સહિત 14 કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો અને હનુમાનજીની આરતી કરવામાં આવી હતી. નિયમો અનુસાર રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવાની મંજૂરી નથી.
લાઉડસ્પીકર પર અડધી રાત્રે હનુમાન આરતી
અમરાવતીના શંકર નગર સ્થિત રાણા દંપતીના ઘરની સામે શનિવારે રાત્રે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. જેના કારણે માર્ગ પરનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. આ પછી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર પર કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. આ કારણે રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર સ્વાતિ પવારની ફરિયાદ પર રાણા દંપતી સહિત 14 કાર્યકરો વિરુદ્ધ કલમ 341, 188, 134, 135 અને પર્યાવરણ સંવર્ધન અધિનિયમ 1986 હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
નવનીત રાણા અને ભીમ આર્મી વચ્ચે તોફાની ટક્કર
મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા 36 દિવસ પછી શનિવારે તેમના શહેર પહોંચ્યા. તેમની સાથે તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા પણ હતા. રાણાના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ભીમ આર્મીના કાર્યકરો તેમની સાથે અથડાયા હતા. રાણા સમર્થકો અને ભીમ આર્મીના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ કાર્યકરો રાણા દંપતી દ્વારા હનુમાન ચાલીસાના પાઠનો વિરોધ કરી રહ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. આ પછી પોલીસે ભીમ આર્મીના કેટલાક કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. ભીમ આર્મીના કાર્યકરોએ કહ્યું કે તેઓ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હનુમાન ચાલીસાના પાઠ કરવા દેશે નહીં. રાણા દંપતી અહીં બંધારણનું વાંચન કરે.