મુંબઈગરાઓને નવા પોલીસ કમિશનરે આપી ભેટ, હવેથી ગાડી ઉપાડીને નહી લઈ જઈ શકે પોલીસ, શરતો લાગુ

મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ કાર્યભાર સંભાળતાની સાથે જ મુંબઈકરોને અનોખી ભેટ આપી છે. હવે પોલીસ રસ્તા પરથી કોઈની કાર નહીં ઉપાડે.

મુંબઈગરાઓને નવા પોલીસ કમિશનરે આપી ભેટ, હવેથી ગાડી ઉપાડીને નહી લઈ જઈ શકે પોલીસ, શરતો લાગુ
Sanjay Pandey - Police Commissioner of Mumbai
| Edited By: | Updated on: Mar 05, 2022 | 10:57 PM

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ (Sanjay Pandey) કાર્યભાર સંભાળતાની સાથે જ મુંબઈવાસીઓને એક અનોખી ભેટ આપી છે. હવે પોલીસ રસ્તા પરથી કોઈની કાર નહીં ઉપાડે. મુંબઈમાં પાર્કિંગની મોટી સમસ્યા છે. હાલમાં મુંબઈમાં મેટ્રોનું કામ પણ શરૂ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા પણ સામાન્ય છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક અને ભીડની સમસ્યાને જોતા, ઘણી વખત મુંબઈવાસીઓ તેમના વાહનો નો પાર્કિંગમાં પાર્ક કરે છે. આવી સ્થિતિમાં, તેમના પર કાર્યવાહી કરીને, ટ્રાફિક પોલીસ તે વાહનોને ટો કરીને ઉપાડી લે છે. જેના કારણે વાહનચાલકોને પોતાની કાર છોડાવવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે વાહનો ઉપાડવાની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

આ નિર્ણય મુંબઈના નવા પોલીસ કમિશનર સંજય પાંડેએ લીધો છે. પરંતુ હાલ તેને પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહ્યો છે. સંજય પાંડેની મુંબઈ પોલીસ કમિશનર તરીકે નિમણૂક થતાંની સાથે જ ઘણા મુંબઈવાસીઓએ પૂરા ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું છે. મુંબઈકરોના ઉત્સાહથી ભાવુક થવાની વાત કરતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે.

તેમણે ટ્વીટ કરીને પોતાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, પ્રિય મુંબઈવાસીઓ, તમારા ઉત્સાહપૂર્ણ સ્વાગતથી હું ભાવુક થઈ ગયો છું. સૌ પ્રથમ હું વાહનો ઉપાડવાની કાર્યવાહી બંધ કરું છું. જો તમે બધા સાથે મળીને નિયમોનું પાલન કરશો તો પ્રાયોગિક ધોરણે શરૂ થયેલો આ પ્રયોગ નિયમિત રીતે કરી શકાશે.

‘પ્રયોગ તરીકે શરૂ કર્યું, જો જનતાનો સહયોગ મળશે તો કાયમ ચાલુ રહેશે’

પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરી છે કે તેમણે આ પગલું એક પ્રયોગ તરીકે ઉઠાવ્યું છે. જો લોકો જવાબદારી સમજીને પોતે ટ્રાફિક અને પાર્કિંગને લગતા નિયમોનું પાલન કરશે તો આ શરૂઆત આગળ પણ જળવાઈ રહેશે. આ નવા આદેશથી હવે ટ્રાફિક પોલીસ કોઈની કાર નહીં ઉપાડે. પરંતુ મુંબઈવાસીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

જો મુંબઈવાસીઓ અપેક્ષા મુજબ પ્રતિસાદ ન આપે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું રહે તો થોડા દિવસો પછી આ છૂટ પાછી ખેંચી શકાય છે. આ અંગે ટ્વિટ કરીને મુંબઈ પોલીસ કમિશનરે આ નિર્ણય અંગે લોકોનો અભિપ્રાય પણ માંગ્યો છે અને એવી આશા પણ વ્યક્ત કરી છે કે જો મુંબઈવાસીઓ નિયમોનું પાલન કરશે તો પ્રયોગ તરીકે શરૂ થયેલો આ નિર્ણય આગળ પણ જળવાઈ રહેશે.

આ પણ વાંચો :  Maharashtra: પ્રેમ સંબંધી વિવાદને લઈને એક વ્યક્તિને કારથી ટક્કર મારી, મોબાઈલમાં રેકોર્ડ કરાયેલો વીડિયો થયો વાયરલ