
Mumbai: OBC અનામતને લઈને સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં થયેલી બેઠકમાં ઉપમુખ્યમંત્રી અજિત પવાર અને તેમની પાર્ટીના કેબિનેટ મંત્રી છગન ભુજબળ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બંને વચ્ચે ગરમાગરમી વચ્ચે આ બેઠકમાં ઓબીસી સમાજ અને મરાઠા કુનબીને ઓબીસીમાં સામેલ કરવાનો ભારે વિરોધ થયો. બેઠક બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ કે ઓબીસી સમુદાયની અનામતને છેડ્યા વિના મરાઠા સમાજને અનામત આપવી સરકારની જવાબદારી છે.
હાલમાં મહારાષ્ટ્રની રાજનીતિ મરાઠા, ધનગર અને ઓબીસી અનામતને લઈને ગરમાયેલી છે. મરાઠા અનામતની માગને લઈને આમરણ ઉપવાસ કરનારા મનોજ જરાંગે પાટીલની માગ છે કે મરાઠાઓને તુરંત કુનબી પ્રમાણપત્ર આપવુ જોઈએ. જેનો ઓબીસી સમાજ રાજ્યભરમાં વિરોધ કરી રહ્યો છે. આ મુદ્દાઓને લઈને શુક્રવારે ઉપમુખ્યમંત્રી અજિત પવાર, મંત્રી છગન ભુજબળ સહિત અનેક મોટા મંત્રીઓ અને નેતાઓની બેઠક મળી હતી.
બેઠકમાં ઓબીસી સંબંધિક આંકડા રાખવામાં આવ્યા. જેને બિન ઓબીસી નેતાઓએ રદ કરી દીધા. આંકડાને લઈને બેઠકમાં ઘણી ગરમાગરમી થઈ. બેઠકમાં છગન ભુજબળે મંત્રાલયમાં કાર્યરત ઓબીસી સમુદાયના અધિકારીઓ અને કર્મચારીઓના આંકડા રજૂ કર્યા. ભુજબળે કહ્યુ કે ઓબીસી સાથએ અન્યાય થઈ રહ્યો છે. ભુજબળે રજૂ કરેલા એ આંકડા પર અજિત પવારે વિરોધ વ્યક્ત કર્યો. પવારે કહ્યુ કે જો આ આંકડા સાચા છે તો ભુજબળે તેના પુરાવા રજૂ કરવા જોઈએ. આ મુદ્દે એકબીજાએ આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા.
બેઠકમાં સામેલ ઓબીસી નેતાઓએ જણાવ્યુ કે મરાઠા સમુદાયને કુનબી સર્ટિફિકેટ ન આપવામાં આવે, આ અંગે સરકાર તાત્કાલિક આદેશ બહાર પાડે. સરકારે જણાવ્યુ કે સંબંધિત પ્રમાણપત્ર તેમને જ આપવામાં આવશે જેમના જુના દસ્તાવેજોમાં કુનબીનો ઉલ્લેખ છે. જો કે તેના પર પણ ઓબીસી નેતાઓએ નારાજગી વ્યક્ત કરી.
ઉપમુખ્યમંત્રી ફડણવિસે જણાવ્યુ કે ઓબીસી સમાજ માટે રાજ્ય સરકાર 4 હજાર કરોડ રૂપિયાની યોજના ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે પણ ઓબીસી આયોગને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ પીએમ નરેન્દ્ર મોદીએ મેડિકલમાં પ્રવેશ માટે ઓબીસી વિદ્યાર્થીઓને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારે આશ્વાસન આપ્યુ કે કોઈપણ સમાજની અનામતને પ્રભાવિત નહીં કરવામાં આવે.