મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાની (Corona Virus) ગતિમાં આજે એટલે કે સોમવારે થોડો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,885 નવા કેસ નોંધાયા છે. આ સિવાય 774 લોકો કોરોનાને માત આપીને ઘરે ગયા છે. કોરોનાના મોટાભાગના નવા કેસ મુંબઈ શહેરમાંથી સામે આવ્યા છે. મુંબઈમાં (Mumbai) કોરોનાના 1,118 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સોમવારે આંકડો ભલે નીચે આવ્યો હોય, પરંતુ રાજ્યમાં કોરોના વાઈરસના સક્રિય કેસોમાં 241 ટકાનો વધારો થયો છે. છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 527થી વધીને 17,480 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં આજે (13 જૂન, સોમવાર) પણ કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. જૂનના પ્રથમ સપ્તાહથી જ કોરોનાની ગતિ વધી છે. છેલ્લા દસ દિવસના આંકડા ભયજનક છે. મુંબઈ ફરી એકવાર કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે.
મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાના 17,480 સક્રિય દર્દીઓ છે. સૌથી વધુ સક્રિય દર્દીઓ મુંબઈમાં છે. હાલમાં મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 11,331 છે. મુંબઈ પછી થાણે છે. અહીં સક્રિય દર્દીઓની સંખ્યા 3,233 છે.
છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં પણ કોરોનાને કારણે એકનું મોત થયું છે. હાલમાં મહારાષ્ટ્રમાં મૃત્યુ દર 1.86 ટકા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 77,47,111 લોકો કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા છે. આ રીતે હાલમાં રિકવરી રેટ 97.91 ટકા છે.
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એલર્ટ થયુ છે. AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.