
મુંબઈ, ઠાણે, પાલઘર, સિંધુદુર્ગ અને રત્નાગિરી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે તો પુણે, સાતારા અને કોલ્હાપુર વિસ્તારમાં મોનસૂન સક્રિય હોવાથી ભારે વરસાદ પડી શકે છે. નાસિક અને અહમદનગર જિલ્લામાં પણ વીજળી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મરાઠવાડા અને વિદર્ભના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
જાલના શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો. શહેર અને તાલુકાના ઘણા ભાગોમાં દોઢથી બે કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી હતી. આ સિઝનમાં ચોમાસા પહેલાના વરસાદનો આ પહેલો જોરદાર વરસાદ હતો. રાત્રે પડેલા વરસાદને કારણે શહેરના ઘણા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગઈકાલે જ (8મે ) યલો એલર્ટ જાહેર કર્યું હતું. દરમિયાન, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ જિલ્લામાં વરસાદની શક્યતા રહેશે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ મરાઠવાડામાં મોન્સૂન થોડો વિલંબથી આવી શકે છે. હાલમાં અનુકૂળ વાતાવરણ ન હોવાથી મોન્સૂનને વિસ્તાર આવરી લેવા માટે થોડો સમય લાગી શકે છે. 12થી 19 જૂન વચ્ચે મોન્સૂન મરાઠવાડામાં પ્રવેશવાની શક્યતા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે પૂરતો વરસાદ થયા પછી જ વાવણી કરવી. નહિતર ફરી વાવણી કરવાની જરૂર પડી શકે છે.
ચોમાસું કોકણમાં પ્રવેશી ગયું છે. 9 જૂન સુધી સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. જો કે વર્તમાન હવામાન આગાહી દર્શાવે છે કે રાજ્યમાં વરસાદની એકંદર તીવ્રતા અને ચોમાસાની પ્રગતિની ગતિ ઓછામાં ઓછી 15 જૂન સુધી ઘટવાની શક્યતા છે. તેથી આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં સંતોષકારક વરસાદની શક્યતા ઓછી છે. હાલની હવામાન આગાહી મુજબ ઓછામાં ઓછા 15 જૂન સુધી બપોર પછી વિદર્ભ, મરાઠવાડા, ખાનદેશ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળો સાથે ગાજવીજ અને છૂટાછવાયા વાવાઝોડાની શક્યતા છે.
દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ઓછામાં ઓછા 12 જૂન સુધી મહત્તમ તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. વિદર્ભ અને ખાનદેશમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની ધારણા છે, જ્યારે મરાઠવાડામાં તે 35 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે જેના કારણે લોકોને ભારે ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી વધુ સક્રિય બનશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 15 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને પોરબંદર, અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની સંભાવના છે. આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જેવા મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published On - 12:13 pm, Tue, 9 June 26