રાજ ઠાકરેને (Raj Thackeray) મળેલા ધમકીભર્યા પત્રને પગલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા બાલા નંદગાંવકરે બુધવારે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલને મળ્યા હતા. સાથે જ તેણે આ અંગે પગલાં લેવાની માગણી કરી હતી. નંદગાંવકરે બાદમાં મીડિયાને કહ્યું કે જો MNS ચીફ રાજ ઠાકરેને કોઈ નુકસાન થશે તો તેના પરિણામો રાજ્યભરમાં (Maharashtra) જોવા મળશે. આ દરમિયાન મુંબઈ પોલીસે(Mumbai Police) અનામી પત્રના સંબંધમાં કેસ પણ નોંધ્યો હતો. નંદગાંવકરે કહ્યું કે ઠાકરેની ઓફિસને એક પત્ર મળ્યો છે, જે હિન્દીમાં લખાયેલ છે અને તેમાં ઉર્દૂના કેટલાક શબ્દો પણ લખવામાં આવ્યા છે.
નંદગાંવકરે કહ્યું કે પત્રમાં ઠાકરેને મળેલી ચેતવણીનો ઉલ્લેખ કર્યો છે, વધુમાં તેણે કહ્યું કે જો અઝાન માટે લાઉડસ્પીકરનો (Loudspeaker Controversy) ઉપયોગ ચાલુ રહેશે તો મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. નંદગાંવકરે કહ્યું, ગૃહમંત્રીએ કહ્યું છે કે તેઓ પોલીસ કમિશનર સાથે આ અંગે વાત કરશે. હવે તેઓ જરૂરી પગલાં લેશે, પરંતુ જો રાજ ઠાકરેને જરા પણ નુકસાન થશે તો મહારાષ્ટ્ર સળગી ઉઠશે. રાજ્ય સરકારે આ અંગે ધ્યાન આપવું જોઈએ.
તમને જણાવી દઈએ કે, આ પત્રને લઈને નંદગાંવકર મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને(Sanjay Pandey) પણ મળ્યા હતા. નંદગાંવકરે કહ્યું કે તેઓ MNS પ્રમુખ અને તેમના પરિવાર માટે સુરક્ષાની માંગ કરી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ. બીજી તરફ એક અધિકારીનુ કહેવુ છે કે પત્રના સંબંધમાં કાલાચોકી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 507 હેઠળ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ બિન-કોગ્નિઝેબલ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રાજ ઠાકરેએ ગયા મહિને ચેતવણી આપી હતી કે રાજ્યની મસ્જિદોમાંથી 4 મે સુધીમાં લાઉડસ્પીકર હટાવી લેવા જોઈએ.જે બાદથી જ રાજ્યમાં લાઉડ સ્પીકર વિવાદ શરૂ થયો છે.