મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray MNS) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં ભડકાઉ ભાષણને લઈને કેસ નોંધવામાં આવ્યો છે. ઔરંગાબાદ સિટી ચોક પોલીસ સ્ટેશનમાં (Aurangabad Police) કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં તેમના અલ્ટીમેટમનો પુનરોચ્ચાર કર્યો હતો કે જો ત્રણ તારીખ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ ઠાકરેને સભા આયોજિત કરતા પહેલા પરવાનગી આપતી વખતે જે 16 શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમાંથી 12 શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. મનસે નેતા અવિનાશ જાધવે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા કહ્યું કે આની પહેલાથી આશંકા હતી. રાજ ઠાકરેની ધરપકડની તૈયારીમાં આ પહેલું પગલું છે.
રાજ ઠાકરે વિરુદ્ધ 153-A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એટલે કે ભડકાઉ ભાષણના કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત કલમ 116, 117 અને 135 પણ લગાવવામાં આવી છે. રમખાણો ભડકાવવા માટે ભડકાઉ ભાષણો કરવા બદલ આ કલમો લગાવવામાં આવી છે. કલમ 153-A બિનજામીનપાત્ર ગુનો છે. એટલે કે તે બિનજામીનપાત્ર કેસ છે. રાજ ઠાકરે ઉપરાંત રાજીવ જાવડેકર અને અન્ય આયોજકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. વકીલ અસીમ સરોદેએ આ કલમોના સંબંધમાં અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને જણાવ્યું કે સમાજમાં તણાવ પેદા કરવા માટે ભડકાઉ ભાષણો કરવા અથવા તેને પ્રોત્સાહિત કરવા પર 153-A લાગુ કરવામાં આવે છે.
આ દરમિયાન મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મનસેના ચાર પદાધિકારીઓને બેઠક માટે બોલાવ્યા છે. રાજ ઠાકરેના અલ્ટીમેટમને ધ્યાનમાં રાખીને મનસેની આગળની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પોલીસ કાયદો અને વ્યવસ્થા સંબંધિત સંભવિત ખલેલ માટે તેમની પુરતી તૈયારીઓ કરી શકે.
ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દરેકરે આ મામલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું કે રાજ ઠાકરે પરની કાર્યવાહી સ્પષ્ટ કરે છે કે ઠાકરે સરકાર રાજ ઠાકરેની સભામાં ભેગી થઈ રહેલી ભીડથી ડરી ગઈ છે. રાજકીય બદલો લેવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
Published On - 3:58 pm, Tue, 3 May 22