મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીની ખુરશી પર સંકટના વાદળો ઘેરાયા, વિપક્ષી નેતાએ આપ્યા સંકેત

છત્રપતિ શિવાજી મહારાજ પર આપેલા નિવેદન બાદ રાજ્યપાલ ચારે તરફથી ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમને મહારાષ્ટ્રની બહાર મોકલવાની માંગ કરી રહ્યું છે. જનતામાં પણ હાલમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીની ખુરશી પર સંકટના વાદળો ઘેરાયા, વિપક્ષી નેતાએ આપ્યા સંકેત
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Dec 03, 2022 | 4:54 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ખુરશી ખતરામાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યપાલ કોશ્યારીની વિદાયના સંકેત જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે તેની તારીખ પણ જણાવી દીધી છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપેલા નિવેદન બાદ રાજ્યપાલ ચારે તરફથી ઘેરાયેલા છે. વિપક્ષ સતત તેમને મહારાષ્ટ્રની બહાર મોકલવાની માંગ કરી રહ્યું છે. જનતામાં પણ હાલમાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર પર પણ રાજ્યપાલને મહારાષ્ટ્રમાંથી અન્ય કોઈ જગ્યા પર મોકલવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે.

છત્રપતિ શિવાજી મહારાજના વંશજે નારાજગી વ્યક્ત કરી

છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયન રાજે ભાજપના સાંસદ હોવા છતાં પણ રાજ્યપાલ પર કાર્યવાહી ના થતાં નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીથી વિરોધ લાઈન લઈને પોતાના સમર્થકોની સાથે રાયગઢથી કુચ કરી ચૂક્યા છે. તે આ મુદ્દે આરપારની લડાઈ લડવાના મુડમાં છે.

ગુજરાતની ચૂંટણી બાદ રાજ્યપાલ પર થઈ શકે છે કાર્યવાહી

મહારાષ્ટ્રની વિધાનસભામાં વિપક્ષી નેતાએ બીજીવાર શુક્રવારે ઉલ્લેખ કર્યો કે જ્યારે તે રાજભવનમાં જઈ રાજ્યપાલને મળે છે તો રાજ્યપાલ તેમને એ જ કહી રહ્યા હતા કે ‘ઘણુ થઈ ગયુ હવે, મારે અહીંયાથી જવું છે’ પવારે કહ્યું કે જે જાતે જ જવા ઈચ્છી રહ્યું છે, તેમને મોકલી દોને, 5 ડિસેમ્બરે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે. અપેક્ષા છે કે ત્યારબાદ રાજ્યપાલ પર કાર્યવાહી કરવામાં આવશે.

 બોમ્બે હાઈકોર્ટમાં અરજી થઈ હતી દાખલ

છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો તેમના વિરુદ્ધ ભડક્યા છે. તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ છે, આજના આદર્શ નીતિન ગડકરી છે. જેને લઈને મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ફોજદારી જાહેર હિતની અરજી દાખલ કરવામાં હતી. આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે.

કોશ્યારીએ થોડા દિવસ પહેલા આપ્યું હતું નિવેદન કે ‘મારે નિવૃત્ત થવું છે’

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી થોડા દિવસ પહેલા રાજ્યપાલે પોતાના નવા નિવેદનમાં કહ્યું હતું કે તેઓ હવે નિવૃત્ત થવા માંગે છે. તેમણે નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ફક્ત નિવૃતિને લઈને જ નિવેદન નહતું આપ્યુ, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ કેવા વ્યક્તિને રાજ્યપાલ બનાવવા જોઈએ? તેમણે કહ્યું કે આ માટે સેવા ભાવના ધરાવતી વ્યક્તિની જરૂર છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં ‘સ્નેહાલય’ સંસ્થા દ્વારા યુવા પ્રેરણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કર્યું હતું. તેમણે આ જ ઉદ્ઘાટન ભાષણમાં આ નિવેદન આપ્યું હતું.