ચોથી લહેરના પડઘા વચ્ચે મહારાષ્ટ્રમાં બે વર્ષ બાદ એક દિવસમાં નોંધાયા 100થી ઓછા કેસ અને માત્ર એકનું મોત

એક તરફ ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ કોરોનાની ચોથી લહેરના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ચોથી લહેરના પડઘા વચ્ચે મહારાષ્ટ્રમાં બે વર્ષ બાદ એક દિવસમાં નોંધાયા 100થી ઓછા કેસ અને માત્ર એકનું મોત
Corona Cases In Maharashtra (Symbolic Image)
| Edited By: | Updated on: Mar 19, 2022 | 11:33 PM

મહારાષ્ટ્રમાં પૂરા બે વર્ષ બાદ કોરોના કેસનો આંકડો 100 થી ઓછો આવ્યો (Maharashtra corona update) છે. શનિવારે (19 માર્ચ) મહારાષ્ટ્રમાં કોરોનાના 97 કેસ નોંધાયા હતા. તેની તુલનામાં 251 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી મોત પણ એક જ થયું છે. મુંબઈમાં પણ શનિવારે પણ કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી. એટલે કે, મુંબઈએ ઝીરો મૃત્યુનો સિલસિલો યથાવત રાખ્યો છે.  મુંબઈમાં કોરોનાના (Mumbai Corona Cases) 48 નવા કેસ નોંધાયા છે અને 54 લોકો સાજા થયા છે. એક તરફ ચીન, દક્ષિણ કોરિયા અને યુરોપ કોરોનાની ચોથી લહેરના ખતરા સામે ઝઝૂમી રહ્યા છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ, એપ્રિલ 2020 માં રાજ્યમાં 100 થી ઓછા કોરોના કેસ આવ્યા હતા. શનિવારનું કોરોના અપડેટ મહારાષ્ટ્ર માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું છે. આટલું જ નહીં શનિવારે રાજ્યમાં 19 સ્થળોએ એક પણ કોરોના કેસ જોવા મળ્યો નથી. માત્ર ત્રણ વિસ્તારો જ રહ્યા જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે આંકડા સુધી પહોંચી છે. રાજ્યમાં શનિવારે માત્ર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે વ્યક્તિ સતારાનો રહેવાસી છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના સંબંધિત અપડેટ્સ

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 77 લાખ 23 હજાર 005 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈને ઘરે ગયા છે. આ કારણે કોરોના રિકવરી રેટ 98.10 ટકા થઈ ગયો છે. તેવી જ રીતે, રાજ્યમાં મૃત્યુ દર 1.82 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 7 કરોડ 89 લાખ 9 હજાર 115 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી 78 લાખ 72 હજાર 300 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.

એટલે કે, અત્યાર સુધીમાં કુલ પરીક્ષણ કરાયેલા લોકોમાંથી 9.98 ટકા પોઝિટિવ જોવા મળ્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. આ કારણે સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા પણ સતત ઘટી રહી છે. હાલ રાજ્યમાં કુલ સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 1 હજાર 525 છે.

મુંબઈમાં કોરોનાના 48 નવા કેસ, ઝીરો ડેથ

શનિવારે, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 48 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં પણ કોરોનાથી એક પણ મોત નોંધાયું નથી. 54 લોકો કોરોનામાંથી સાજા થયા છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 10 લાખ 37 હજાર 611 થઈ ગઈ છે. મુંબઈમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 16 હજાર 693 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો :  મહીલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી, લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય