Maharashtra : છેલ્લા કેટલાક સમયથી કોરોના રસીના બૂસ્ટર ડોઝની (Booster Dose) માગણી કરવામાં આવી રહી હતી,ત્યારે આજથી સમગ્ર દેશમાં બૂસ્ટર ડોઝ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં સોમવારથી ફ્રન્ટલાઈન વર્કર્સ,(Frontline Workers) 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ કોઈપણ રોગથી પીડિત છે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વધતા જતા કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે એકવાર આ ડોઝ ફ્રન્ટલાઈન અને આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તે બાદ અન્ય લોકોને પણ આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.આજથી તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં બુસ્ટર અથવા નિવારણ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ડોઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન(Registration) કરીને અથવા સીધા કેન્દ્ર પર જઈને લઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં (Nasik District) 45 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓને ‘પ્રિકોશન ડોઝ’આપવામાં આવશે, આ માટે કોઈપણ પ્રકારનું મેડિકલ સર્ટિફિકેટ બતાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલ 2021 પહેલા કોરોના રસીનો ડોઝ લઈ ચૂકેલા 45 હજાર આરોગ્ય કર્મચારીઓ આ અભિયાન હેઠળ’પ્રિકોશન ડોઝ’ લેવા માટે પાત્રતા ધરાવે છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આરોગ્ય કર્મચારીઓ વહેલી તકે આ ડોઝ લઈને સુરક્ષા મેળવે.
મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો(Corona Guidelines) લાગુ કરવામાં આવ્યા છે. આ મુજબ, સવારે 5 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કલમ 144 અમલમાં રહેશે અને રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. ઉપરાંત ખાનગી ઓફિસો અને વિવિધ સંસ્થાઓમાં માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરીની મંજૂરી આપવામાં આવશે. તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં(Public Transport) મુસાફરી માટે સંપૂર્ણ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ
Published On - 2:31 pm, Mon, 10 January 22