મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ (Raj Thackeray MNS) ગઈ કાલે (1 મે, રવિવાર) આયોજિત તેમની ઔરંગાબાદ સભામાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટેના તેમના 3 મેના અલ્ટીમેટમનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે જો આમ કરવામાં નહીં આવે તો 4 તારીખે, મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામેના સ્થળોએ ડબલ અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરશે. આ સાથે રાજ ઠાકરેએ ગઈકાલની સભામાં રસ્તાઓ પર નમાજ અદા કરવાનો મુદ્દો (Namaz on roads and streets) પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ‘તેમને રસ્તા પર નમાજ પઢવાનો અધિકાર કોણે આપ્યો? અમારે સભા કરવી હોય તો કહેવાય છે કે અહીં સાયલન્સ ઝોન છે. અહીં શાળા છે. શું પ્રતિબંધો બધા અમારા પર જ છે? આના પર કોઈ પ્રતિબંધ નહી?’
લાઉડ સ્પીકર બાદ રાજે આ મુદ્દે પણ કાર્યવાહી કરવાની વાત કરી હતી. પરંતુ ત્રીજી તારીખે રમઝાન ઈદનો (Ramzan Eid 2022) તહેવાર છે. રાજ્યમાં રાબેતા મુજબ ઈદની નમાજ રસ્તાઓમાં અદા કરવામાં આવશે. પોલીસ ટ્રાફિક વ્યવસ્થાની જાળવણીમાં વ્યસ્ત રહેશે અને નમાજ ધ્યાનમાં રાખીને ટ્રાફિક બદલવાની કામગીરીમાં રોકાશે.
મહારાષ્ટ્રના અહમદનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પોલીસે ઈદની નમાજને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવાની યોજના અમલમાં મૂકી દીધી છે. અહેમદનગરમાં કોઠાલાના ઈદગાહ મેદાન અને તેની નજીકના અહમદનગર-ઔરંગાબાદ હાઈવેની નજીકની શેરીઓ અને રસ્તાઓમાં સામૂહિક નમાજ અદા કરવા માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સંભવિત ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં વ્યસ્ત છે.
આવતીકાલે (3 મે, મંગળવાર) ઈદ નિમિત્તે સવારે સમૂહ નમાજ અદા કરવામાં આવશે. આ માટે મુસ્લિમ ભાઈઓ કોઠલાના મેદાનમાં એકઠા થશે. અન્ય ધર્મના લોકો પણ તેમને અભિનંદન આપવા અને ભાઈચારાનો સંદેશ લઈને અહીં પહોંચશે. મેદાનમાં જગ્યા ઓછી પડશે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રાઉન્ડમાંથી પસાર થતા હાઈવે રોડનો ઉપયોગ નમાજ માટે કરવામાં આવશે. આ માટે ટ્રાફિકને અન્ય રસ્તાઓ તરફ વાળવામાં આવશે.
ઔરંગાબાદ અને મનમાડના ટ્રાફિકને ચાંદની ચોક તરફ વાળવામાં આવ્યો છે. પૂણે, સોલાપુરથી આવતા વાહનોને ચાંદની ચોક, બેલેશ્વર ચોક, કિલા ચોક થઈને એસપી ઓફિસ તરફ વાળવામાં આવ્યા છે. તમામ ભારે વાહનોને બાયપાસ રોડ તરફ વાળવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક મનોજ પાટીલનો આ આદેશ સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લાગુ રહેશે. કોરોનાકાળ ખતમ થયા બાદ પહેલીવાર મોટી સંખ્યામાં લોકો નમાજ માટે એકઠા થશે. રાજ ઠાકરેની ચેતવણી બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.