જોખમમાં છે જોશીમઠ, દર વર્ષે 2.5 ઇંચ જમીન ધસી રહી છે, રિમોટ સેન્સિંગ રિપોર્ટમાં થયો ખુલાસો

આ અભ્યાસ જુલાઈ 2020 થી માર્ચ 2022 વચ્ચે સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ઈમેજ દર્શાવે છે કે જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે.

જોખમમાં છે જોશીમઠ, દર વર્ષે 2.5 ઇંચ જમીન ધસી રહી છે, રિમોટ સેન્સિંગ રિપોર્ટમાં થયો ખુલાસો
Joshimath's cracked roads
Image Credit source: PTI
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:13 AM

Joshimath Disaster : ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે સેંકડો પરિવારોએ તેમના ઘર ખાલી કરીને અન્ય સ્થળે સ્થળાંતર કરવું પડ્યું છે. અસરગ્રસ્તો સતત સરકારને નિશાન બનાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારની ખોટી નીતિઓને કારણે આજે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) તરફથી એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ આપત્તિ અચાનક આવી નથી. છેલ્લા બે વર્ષથી જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રતિ વર્ષ 6.5 સેમી એટલે કે 2.5 ઈંચ લેખે જમીન ધસી રહી છે.

આ અભ્યાસ દેહરાદૂન સ્થિત સંસ્થા દ્વારા સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે. આ અભ્યાસ મુજબ જોશીમઠ અને તેની આસપાસના ઘણા વિસ્તારો અત્યંત સંવેદનશીલ છે. આ અભ્યાસ જુલાઈ 2020 થી માર્ચ 2022 વચ્ચે સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ઈમેજ દર્શાવે છે કે, જોશીમઠ અને તેની આસપાસના વિસ્તારો ધીમે ધીમે ધસી રહ્યા છે.

જોશીમઠમાં પરિસ્થિતિની સમીક્ષા કરતી નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી

દરમિયાન, નેશનલ ક્રાઈસીસ મેનેજમેન્ટ કમિટી (NCMC) એ જોશીમઠની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. ખાસ કરીને જ્યાં ઈમારતો અને અન્ય માળખામાં તિરાડો પડી ગઈ છે, તેવી ઈમારતો અને મકાનોને અલગ કરવા અને અસરગ્રસ્તોને સુરક્ષિત વિસ્તારમાં સ્થળાંતર સુનિશ્ચિત કરવા તાત્કાલિક પ્રાથમિકતા હાથ ધરાઈ છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે NCMCની બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તિરાડ પડેલ સંવેદનશીલ માળખાને સુરક્ષિત રીતે તોડી પાડવાના કામને પ્રાથમિકતા આપવી જોઈએ. એનસીએમસીએ કહ્યું કે જીઓટેક્નિકલ, જીઓફિઝિકલ અને હાઇડ્રોલોજિકલ સહિત તમામ અભ્યાસ અને તપાસ સંકલિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ થવી જોઈએ.

ઉત્તરાખંડના મુખ્ય સચિવે માહિતી આપી

ઉત્તરાખંડના મુખ્ય સચિવે, એનસીએમસીને હાલની પરિસ્થિતિ વિશે વિગતે માહિતી આપી હતી. ગંભીર રીતે નુકસાન થયેલા ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત પરિવારોને આશ્રયસ્થાન આપવા માટે જોશીમઠ અને પીપલકોટી ખાતે રાહત સ્થળોની ઓળખ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવા સાથે રાહત પગલાં ભરવામાં આવી રહ્યા છે.

મુખ્ય સચિવે સમિતિને જાણ કરી હતી કે, જોશીમઠ-ઓલી રોપવેનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને જોશીમઠ નગરપાલિકા વિસ્તારમાં અને તેની આસપાસનું બાંધકામ આગળના આદેશો સુધી બંધ કરી દેવા જણાવ્યું છે. જિલ્લા વહીવટીતંત્રને તેમના રાહત અને પુનર્વસન પ્રયાસોમાં મદદ કરવા માટે નેશનલ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. કેબિનેટ સચિવે, ઉત્તરાખંડના મુખ્ય સચિવને ખાતરી આપી કે, તમામ કેન્દ્રીય એજન્સીઓ જરૂરી સહાય માટે ઉપલબ્ધ રહેશે.

( વીથ ઇનપુટ-ભાષા-પીટીઆઈ)