Breaking News : ફરી રીબડા જુથ અને ગોંડલ જુથ આમને- સામને, ચૂંટણીની અદાવતમાં બોલાચાલી થઈ હોવાની ચર્ચા
ઘટનાને પગલે જયરાજસિંહ જાડેજાએ આજે રીબડામાં પાટીદાર સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે. તો સાથે જ પોલીસ દ્રારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાજકોટમાં ફરી એકવાર રીબડા અને ગોંડલ જુથ આમને સામને આવી જતા રાજકારણ ગરમાયું છે. રીબડા ગામમાં સ્નેહમિલન કાર્યક્રમ બાદ વિવાદ સર્જાયો. સ્નેહમિલન બાદ ચૂંટણીની અદાવતને લઇ જૂથ અથડામણ થઇ હોવાની ચર્ચા છે. મોટી સંખ્યામાં લોકો રીબડા ચોકડી પાસે એકઠા થઈ ગયા હતા. ગોંડલ જૂથના સમર્થકને ઢોરમાર મારવામાં આવ્યો છે. ભોગ બનનાર અમિત ખુંટનો આક્ષેપ છે કે અનિરૂદ્ધસિંહના પુત્રોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢોર માર માર્યો છે. જેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયરાજસિંહે પણ આક્ષેપ કર્યો છે કે રીબડામાં અનિરુદ્ધસિંહ અને તેના પરિવારનો ત્રાસ છે.જેના વિરૂદ્ધમાં રીબડા ખાતે મહાસંમેલન બોલાવ્યું છે.
જયરાજસિંહ જાડેજા આજે રીબડામાં યોજશે સંમેલન
તો બીજી તરફ રિબડા જૂથના અનિરૂદ્ધસિંહ જાડેજાએ તમામ આક્ષેપ ફગાવ્યાં. અને કહ્યું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના કહેવાથી ખોટી રીતે પાટીદાર સમાજમાં બદનામ કરવાનું કાવતરૂ ઘડાયું છે. જયરાજસિંહના કહેવાથી ૪૦થી ૫૦ કારનો કાફલો હુમલો કરવા તેમના ઘરે પહોંચ્યો હોવાનો પણ દાવો કર્યો છે.
આપને જણાવવુ રહ્યું કેઅનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રોએ પટેલ યુવાનને ધાક ધમકી આપતા રીબડા, ગુંદાસરા અને પીપળીયાના પટેલ લોકો બહોળી સંખ્યામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરે દોડી આવ્યા હતા. રીબડા ગામે રહેતા અમિત ખૂટ નામના યુવાને જણાવ્યું હતું કે મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિતના લોકોએ બંદુક બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. તો ઘટનાને પગલે જયરાજસિંહે જણાવ્યુ કે જે શખ્સો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યુ છે, તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
