Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદ બાદ ભૂવા પાડવાનો સીલસીલો યથાવત છે. ત્યારે વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો છે. વસ્ત્રાલમાં મેટ્રોના 129 નંબરના પીલર પાસે મોટો ભૂવો પડ્યો છે. 15 ફૂટ ઊંડો આ ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી છે. લોકોમાં ભય ફેલાયો છે કે જો વાહન ચલાવતા અચાનક ભૂવો પડી જાય તો જીવનું જોખમ નડી શકે છે. હાલ આ ભુવો પડ્યો તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ ભુવો પડ્યો અને પાણીમાં ગરકાવ થયો.
અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ઉપરાંત બે દિવસ પડેલા ધોધમાર વરસાદને કારણે શહેર આખું બેટમાં ફેરવાઇ ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.પહેલા વરસાદી પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા અને હવે તંત્રની અયોગ્ય કામગીરીના કારણે બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યું છે. જે વરસાદી પાણી નિકાલ થયા બાદ હજુ પણ કેટલાક લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. કારણ કે શહેરમાં ‘ખાડા રાજ’ને કારણે અકસ્માત (Accident) થવાની ભિતી સેવાઈ રહી છે.
તો બીજી તરફ વિરાટનગરમાં કેનાલથી નિકોલ તરફ જતા રસ્તાની હાલત તો બદથી પણ બદતર છે.આ રસ્તા પર થોડા મહિના પહેલા ગટર લાઇન નું કામ શરૂ કરવામાં આવ્યું,પરંતુ સાથે જ વરસાદની એન્ટ્રી થતા કામ અટકી પડ્યું અને રસ્તો બંધનો બંધ કરવાની ફરજ પડી.જેના કારણે વરસાદી પાણી ભરાતા રસ્તા પર માટીના કારણે કીચડ થયો અને ખોદકામ વાળો રસ્તો બંધ હોવાથી એક તરફનો જ રસ્તો શરૂ રખાયો જેના કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે.સાથે જ આ વિસ્તારમાં આવેલા ધંધા-રોજગારને પણ અસર થઈ રહી છે.
Published On - 6:20 am, Sun, 17 July 22