
ભારતીય રેલવેની ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમ હવે પહેલા કરતાં વધુ સ્માર્ટ અને આધુનિક બની ગઈ છે. વર્ષ 1986માં શરૂ થયેલી રેલવે રિઝર્વેશન સિસ્ટમમાં છેલ્લા ચાર દાયકામાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. હવે આ સિસ્ટમને અત્યાધુનિક ટેક્નોલોજીથી અપગ્રેડ કરવામાં આવી છે, જેના કારણે ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બની છે.
ભારતીય રેલવેએ વર્ષ 2002માં ઈન્ટરનેટ આધારિત ટિકિટ બુકિંગ સેવા શરૂ કરી હતી. આજે મોટાભાગના મુસાફરો ટિકિટ કાઉન્ટર પર જવાને બદલે ઓનલાઈન ટિકિટ બુક કરવાનું પસંદ કરે છે. હાલ દેશમાં કુલ ટિકિટ બુકિંગમાંથી અંદાજે 88 ટકા બુકિંગ ઓનલાઈન માધ્યમથી થાય છે, જે ડિજિટલ સેવાઓ પ્રત્યે લોકોના વધતા વિશ્વાસને દર્શાવે છે.
ભારતીય રેલવેની RailOne મોબાઇલ એપ ખૂબ જ ઝડપથી લોકપ્રિય બની રહી છે. ગયા વર્ષે જુલાઈમાં લોન્ચ થયેલી આ એપને એક વર્ષથી પણ ઓછા સમયમાં 3.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
આ એપની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર ટિકિટ બુકિંગ જ નહીં, પરંતુ રેલવે સંબંધિત લગભગ તમામ મહત્વપૂર્ણ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. ઉપરાંત, મુસાફરો પોતાની ફરિયાદો પણ સીધી એપ મારફતે નોંધાવી શકે છે અને તેનું નિરાકરણ મેળવી શકે છે.
RailOne એપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવી સુવિધા ઉમેરવામાં આવી છે. હવે જ્યારે મુસાફર વેઇટિંગ ટિકિટ બુક કરશે ત્યારે એપ એ અંદાજ લગાવશે કે ટિકિટ કન્ફર્મ થવાની કેટલી શક્યતા છે.
રેલવેના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં આ આગાહીની ચોકસાઈ લગભગ 53 ટકા હતી, પરંતુ હવે તેમાં નોંધપાત્ર સુધારો કરીને તેને 94 ટકા સુધી પહોંચાડવામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં શરૂ કરાયેલી આ સુવિધાને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
RailOne એપ દ્વારા મુસાફરો રિઝર્વ્ડ, અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે. ઉપરાંત ટિકિટ રદ કરવી, રિફંડ મેળવવો, લાઇવ ટ્રેન સ્ટેટસ જોવો, ટ્રેનનું સમયપત્રક, પ્લેટફોર્મ નંબર, કોચની સ્થિતિ અને વેઇટિંગ સ્ટેટસ જેવી માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે.
આ ઉપરાંત, Rail Madad મારફતે ફરિયાદ નોંધાવવાની સુવિધા તેમજ મુસાફરી દરમિયાન પોતાની સીટ પર જ ખોરાક ઓર્ડર કરવાની સેવા પણ એપમાં ઉપલબ્ધ છે.
રેલવેના જણાવ્યા મુજબ, RailOne એપ દ્વારા દરરોજ સરેરાશ 9.29 લાખથી વધુ ટિકિટ બુક થાય છે. તેમાં લગભગ 7.20 લાખ અનરિઝર્વ્ડ અને 2.09 લાખ રિઝર્વ્ડ ટિકિટનો સમાવેશ થાય છે. અનરિઝર્વ્ડ ટિકિટમાં પ્લેટફોર્મ ટિકિટ પણ સામેલ છે.
અત્યાર સુધીમાં આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી 3.16 કરોડથી વધુ વખત અને એપલ iOS ઉપકરણો પર 33 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દેશના કરોડો લોકો માટે પરિવહનનું સૌથી મહત્વપૂર્ણ સાધન છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન રેલવેએ મુસાફરોના ભાડા પર કુલ ₹60,239 કરોડની સબસિડી આપી હતી.
આંકડા મુજબ, દરેક મુસાફરને સરેરાશ 43 ટકા સુધીનું ભાડું રાહતરૂપે મળે છે. એટલે કે, જો મુસાફરીનો વાસ્તવિક ખર્ચ ₹100 હોય તો મુસાફરને સરેરાશ માત્ર ₹57 જ ચૂકવવા પડે છે, જ્યારે બાકીનો ખર્ચ રેલવે દ્વારા સબસિડી સ્વરૂપે વહન કરવામાં આવે છે.
ATM માંથી પણ વિડ્રો થઈ શકશે PF પરંતુ ગમે તે નહીં ઉપાડી શકે