
17 વર્ષ પછી આખરે આજે મહારાષ્ટ્રના માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આવ્યો છે. NIA સ્પેશિયલ કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી ભોપાલના ભૂતપૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર હતા. સાધ્વી ઉપરાંત, આ કેસમાં લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત 7 આરોપીઓ હતા, જેમના પર આતંકવાદી કાવતરું, હત્યા, ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો આરોપ હતો. આ કેસમાં, સ્પેશિયલ જજ એકે લાહોટીએ તમામ આરોપીઓને 31 જુલાઈએ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં લગભગ 17 વર્ષ પહેલાં 29 સપ્ટેમ્બર 2008ના રોજ બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 6 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા. રમઝાન દરમિયાન લોકો નમાઝ અદા કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ વિસ્ફોટ થયો હતો. આ જ કારણ છે કે ઘાયલોની સંખ્યા વધુ હતી.
હુમલાના એક દિવસ પછી, 30 સપ્ટેમ્બર 2008ના રોજ, માલેગાંવના આઝાદનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે સમયે, 307, 302, 326, 324, 427, 153-A, 120B, વિસ્ફોટક અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
શરૂઆતમાં, આ કેસની તપાસ પોલીસે કરી હતી, જોકે બાદમાં સમગ્ર તપાસ ATSને સોંપવામાં આવી હતી. એવું બહાર આવ્યું હતું કે વિસ્ફોટ LML ફ્રીડમ (MH15P4572) નંબરની બાઇકમાં થયો હતો. આ બાઇકમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો. જોકે, વાહન પર મળેલો નંબર ખોટો હતો અને તેનો ચેસિસ નંબર અને એન્જિન નંબર પણ ભૂંસી નાખવામાં આવ્યો હતો.
આ કેસની તપાસ કરતી વખતે, FSL ટીમને વાહનનો સાચો નંબર મળ્યો, જેનાથી જાણવા મળ્યું કે વાહન સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરના નામે હતું. ઘટનાના લગભગ એક મહિના પછી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સાથે વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી. સમગ્ર કેસમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સાધ્વી પ્રજ્ઞાને કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી.
માલેગાંવ બ્લાસ્ટ કેસની તપાસ પોલીસ, ATS અને NIA દ્વારા કુલ મળીને કરવામાં આવી હતી. સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન, 300 થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જે મુખ્ય કેસમાં સાક્ષી હતા તેઓ કોર્ટમાં નિવેદનો આપીને ફરી ગયા હતા. સમગ્ર કેસની સુનાવણીને લગભગ 17 વર્ષ થઈ ગયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 35 સાક્ષીઓ નિવેદનો આપી ચૂક્યા છે. સાક્ષીઓએ કોર્ટમાં ઘણી વખત કહ્યું છે કે બંદૂકની અણીએ ધમકી આપીને તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટે સાક્ષીઓના વિરોધ અને નિવેદનો પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, આજે, 17 વર્ષ પછી, કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો આવ્યો છે.
આ પણ વાંચો- Breaking News: માલેગાંવ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર, NIA કોર્ટે કહ્યું – કોઈ પુરાવા મળ્યા નથી