
ગરમીમાં ઠંડુ નારિયેળ પાણી પીતા ઘણા લોકોના મનમાં એક રસપ્રદ સવાલ આવે છે કે આખરે નારિયેળની અંદર આટલું શુદ્ધ પાણી આવે ક્યાંથી? બહારથી સંપૂર્ણ બંધ દેખાતું નારિયેળ અંદરથી પાણીથી ભરેલું કેવી રીતે હોય છે? તેનો જવાબ પ્રકૃતિના એક અદ્ભુત વૈજ્ઞાનિક ચમત્કારમાં છુપાયેલો છે.
હકીકતમાં, નારિયેળ સામાન્ય ફળ નથી, પરંતુ એક વિશાળ બીજ છે. તેની અંદર એક નાનો ભ્રૂણ હોય છે, જે આગળ જઈને નારિયેળનું ઝાડ બને છે. નારિયેળની અંદર જે પાણી હોય છે, તેને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. આ ભવિષ્યના છોડ માટેનો સંગ્રહિત પ્રવાહી ખોરાક છે.
નારિયેળનું ઝાડ તેની મૂળ દ્વારા જમીનમાંથી પાણી સાથે ખનિજો, કુદરતી શર્કરા અને અન્ય પોષક તત્વો શોષે છે. ત્યારબાદ ઝાડની અંદરની વાસ્ક્યુલર સિસ્ટમ આ પોષક તત્વોને વિકસતા નારિયેળ સુધી પહોંચાડે છે. શરૂઆતમાં નારિયેળની અંદરનો મોટાભાગનો ભાગ આ પારદર્શક પોષક પ્રવાહીથી ભરેલો હોય છે અને એ જ આગળ જઈને નારિયેળ પાણી બને છે.
આ કારણે નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી શુગર જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે જેમ જેમ નારિયેળ પાકે છે, તેમ તેમ આ પ્રવાહી ધીમે ધીમે ઘન બનવા લાગે છે અને સફેદ મલાઈમાં બદલાઈ જાય છે. એટલે કે તમે જે મલાઈ ખાઓ છો, તે પહેલાં પ્રવાહી હતી.
નારિયેળની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે સીલબંધ હોવાથી તેનું પાણી લાંબા સમય સુધી લગભગ જંતુરહિત રહે છે. આ જ કારણથી ઇતિહાસમાં કેટલીક કટોકટીની પરિસ્થિતિઓમાં તેનો કામચલાઉ IV ફ્લુઇડ તરીકે પણ ઉપયોગ થયો હતો. ખરેખર, નારિયેળ પ્રકૃતિની એક અનોખી જીવંત પ્રણાલી છે.
Published On - 4:08 pm, Sun, 24 May 26