
યુએસ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને રદ કરી દીધા. આ ઐતિહાસિક નિર્ણયનું નેતૃત્વ યુનાઇટેડ સ્ટેટ્સના ભૂતપૂર્વ કાર્યકારી સોલિસિટર જનરલ નીલ કત્યાલે કર્યું હતું, જે ભારતીય મૂળના છે. સુપ્રીમ કોર્ટમાં તેમની દલીલોએ ટ્રમ્પના ટેરિફની પડકાર્યો. ટેરિફ રદ થયા બાદ એ વાત પર સવાલ ઉઠી રહ્યા હતા કે એ વ્યવસાયો અને આયાતકારોને શું રિફંડ મળશે? જેમને ટ્રમ્પના કારણે આર્થિક નુકસાન ગયુ છે. તેના માટે ફરીથી કત્યાલ સામે આવ્યા છે.
નીલ કાત્યાલે ટ્રમ્પના ટેરિફને કારણે નુકસાન સહન કરનારા વ્યવસાયો અને આયાતકારોને મદદ કરવા માટે એક નવી કાનૂની ટીમ બનાવી છે. કાત્યાલે 23 ફેબ્રુઆરીના રોજ આ જાહેરાત કરી હતી. કાત્યાલે એક ટીવી કાર્યક્રમમાં કહ્યું, “અમે સીધા રિફંડ માંગ્યા ન હતા કારણ કે અમારી કાનૂની ટીમને અપેક્ષા હતી કે જો અમે કેસ જીતીશું તો તે આપમેળે મંજૂર થઈ જશે.” તેમણે ઉમેર્યું, “આજે અમે તે રિફંડ માટે લડવા માટે એક ટાસ્ક ફોર્સ શરૂ કરી રહ્યા છીએ.” જો ફેડરલ સરકાર તે પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે, તો અમે તેના માટે પુરી તાકાતથી લડીશુ.
કોર્ટે ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપ્યો
આ પગલું અમેરિકાની સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીથી ટ્રમ્પના અગાઉના ટેરિફ પગલાંને રદ કર્યાના થોડા દિવસો પછી જ આવ્યું છે. કોર્ટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે તેની સત્તાનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે એ પણ પુનરોચ્ચાર કર્યો કે કર લાદવાની સત્તા મુખ્યત્વે કોંગ્રેસ પાસે છે. આ નિર્ણયથી વૈશ્વિક વેપાર પર અસર કરનારી વેપાર વ્યૂહરચના પર મોટો ફટકો પડ્યો અને ઘણા દેશો સાથેના સંબંધોમાં ખટાશ આવી.
યુએસ કોર્ટના આદેશ બાદ, ટ્રમ્પે પહેલા 10% વૈશ્વિક ટેરિફ લાદ્યો અને પછી તેને વધારીને 15% કર્યો. નીલ કાત્યાલે હવે આ 15% વૈશ્વિક ટેરિફની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમની દલીલ છે કે યુએસ રાષ્ટ્રપતિ કોંગ્રેસને બાયપાસ કરીને આવા વ્યાપક પગલાં લાગુ કરી શકતા નથી. કાત્યાલ દલીલ કરે છે કે જો કોઈ નીતિ સાચી હોય, તો તેને બંધારણીય માધ્યમથી લાગુ કરવી જોઈએ.
જો ટ્રમ્પ વહીવટીતંત્ર પર રિફંડ જારી કરવા માટે દબાણ કરવામાં આવે છે, તો તેની સરકારના ખજાના પર નોંધપાત્ર અસર પડશે. આ ટ્રમ્પ માટે એક મોટો ફટકો હશે. કોર્ટના નિર્ણય બાદ, 300,000 થી વધુ વ્યવસાયોએ 170 અબજ ડોલર (આશરે રૂ. 15.42 લાખ કરોડ) ના ટેરિફ રદ કરવાની માંગ કરી છે. ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમિયાન લખ્યું હતું કે અબજો ડોલરની ચુકવણીથી યુએસ તિજોરી પર નોંધપાત્ર અસર પડશે.
નીલ કાત્યાલ ભારતીય મૂળના છે, તેમના માતાપિતા ભારતથી યુએસ સ્થળાંતરિત થયા હતા. તેમની માતા ડૉક્ટર છે અને તેમના પિતા એન્જિનિયર છે. તેમનો જન્મ 12 માર્ચ, 1970 ના રોજ શિકાગોમાં થયો હતો. કાત્યાલે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલમાંથી સ્નાતક થયા હતા અને યુએસ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લાર્ક તરીકે સેવા આપી હતી. 2010 માં, ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ નીલ કાત્યાલને તેમના કાર્યકારી સોલિસિટર જનરલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે અત્યાર સુધીમાં યુએસ સુપ્રીમ કોર્ટમાં 50 થી વધુ મોટા કેસોમાં દલીલો કરી છે, જે કોઈપણ લઘુમતી વકીલ (minority attorney) માટે એક રેકોર્ડ છે.