
થાઈલેન્ડ ફરવાનું સપનું જોતા ભારતીય પ્રવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ત્યાં જવું પહેલા જેટલું સરળ નહીં રહે. થાઈલેન્ડ સરકારે ભારત સહિત 93 દેશ માટે લાગુ કરેલી 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી સ્કીમ (વિઝા વગર પ્રવેશ આપવાની યોજના) બંધ કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે ભારતીય પ્રવાસીઓને વિઝા વગર થાઈલેન્ડમાં પ્રવેશ નહીં મળે. સરકારનું કહેવું છે કે, આ નવા નિયમો સુરક્ષા, ગેરકાયદેસર રોજગાર અને વધતા જતા આંતરરાષ્ટ્રીય ગુનાઓને રોકવા માટે લાવવામાં આવ્યા છે.
નવા નિયમો લાગુ થયા બાદ હવે ભારતીય નાગરિકોએ ‘વિઝા ઓન અરાઇવલ’ (Visa on Arrival) દ્વારા એન્ટ્રી લેવી પડશે. પ્રવાસીઓએ થાઈલેન્ડ પહોંચીને એરપોર્ટ અથવા નક્કી કરેલા ઇમિગ્રેશન ચેકપોઇન્ટ પર જરૂરી દસ્તાવેજો બતાવીને વિઝા મેળવવાના રહેશે. આ વિઝા હેઠળ ભારતીય પ્રવાસીઓ માત્ર 15 દિવસ સુધી જ થાઈલેન્ડમાં રોકાઈ શકશે. અગાઉ ભારતીય નાગરિકો વિઝા વગર 60 દિવસ સુધી રહી શકતા હતા અને જરૂર પડ્યે તેને વધુ 30 દિવસ માટે લંબાવી શકાતા હતા.
થાઈલેન્ડ સરકારે પ્રવાસનને વેગ આપવા અને અર્થતંત્રને મજબૂત કરવા માટે આ સ્કીમ શરૂ કરી હતી. જો કે, પાછળથી સરકારને સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને લઈને ચિંતાઓ થવા લાગી હતી. અહેવાલો અનુસાર, કેટલાક લોકો લાંબા સમય સુધી રોકાઈને ગેરકાયદેસર કામ, ગેરકાયદેસર વ્યવસાય અને નકલી રોજગાર પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા હતા. આ જ કારણે સરકારે વિઝા નિયમોમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
થાઈલેન્ડ હવે “એક દેશ, એક વિઝા” નીતિ લાગુ કરી રહ્યું છે. આ અંતર્ગત દરેક દેશને માત્ર એક જ પ્રકારની વિઝા સુવિધા મળશે. સરકારે ઘણા દેશોની વિઝા કેટેગરીમાં ફેરફાર કર્યો છે. હવે 30 દિવસની વિઝા-ફ્રી સુવિધા માત્ર 54 દેશને જ મળશે, જ્યારે ભારત સહિત કેટલાક દેશોને ‘વિઝા ઓન અરાઇવલ’ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
આમાં જે પ્રવાસીઓ પહેલાથી જ થાઈલેન્ડમાં છે અથવા નવા નિયમો લાગુ થાય તે પહેલા ત્યાં પહોંચી જશે, તેમના પર આની તાત્કાલિક કોઈ અસર નહીં થાય. તેઓ તેમની હાલની પરવાનગીની અવધિ પૂરી થાય ત્યાં સુધી ત્યાં રહી શકશે. તમને જણાવી દઈએ કે, ભારતમાંથી દર વર્ષે લાખો લોકો થાઈલેન્ડ ફરવા જાય છે. સસ્તો પ્રવાસ, બીચ અને સરળ એન્ટ્રી નિયમોને કારણે આ સ્થળ ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. હવે નવા નિયમો આવ્યા બાદ લાંબી રજાઓનું પ્લાનિંગ કરનારા પ્રવાસીઓને વધુ તૈયારી અને દસ્તાવેજોની જરૂર પડશે.