Taiwan: તાઈવાનની મોટી જાહેરાત, ભારતમાં ખોલશે ત્રીજી રાજદ્વારી ઓફિસ, ચીનને લાગશે મરચા!

સૌપ્રથમ વર્ષ 1995માં ભારત અને તાઈવાને દેશની રાજધાનીઓમાં રાજદ્વારી ઓફિસની સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષ 2012માં તાઈવાને દક્ષિણ ભારતના શહેર ચેન્નાઈમાં બીજી કચેરી શરૂ કરી હતી. તાઈવાનના તાઈપેમાં ભારતનું એક કાર્યાલય કાર્યરત છે, જેનું નામ ઈન્ડિયા-તાઈપે એસોસિએશન (ITA) છે.

Taiwan: તાઈવાનની મોટી જાહેરાત, ભારતમાં ખોલશે ત્રીજી રાજદ્વારી ઓફિસ, ચીનને લાગશે મરચા!
| Edited By: | Updated on: Jul 06, 2023 | 2:55 PM

તાઈવાને (Taiwan) ગઈકાલે એટલે કે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, તેઓ આગામી થોડા સમયમાં ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલશે. TECC ની એટલે કે તાઈપે ઈકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટર નામની ઓફિસ મુંબઈમાં ખોલવામાં આવશે. આ નવી ઓફિસ સાથે ભારતમાં તાઈવાનની આ ત્રીજી રાજદ્વારી કચેરી થશે. મુંબઈ પહેલા દિલ્હી અને ચેન્નાઈમાં તાઈવાનની રાજદ્વારી કચેરીઓ કાર્યરત છે.

તાઈપેમાં ભારતનું એક કાર્યાલય કાર્યરત છે

સૌપ્રથમ વર્ષ 1995માં ભારત અને તાઈવાને એકબીજાના દેશની રાજધાનીઓમાં રાજદ્વારી ઓફિસની સ્થાપના કરી હતી. ત્યારબાદ વર્ષ 2012માં તાઈવાને દક્ષિણ ભારતના શહેર ચેન્નાઈમાં બીજી કચેરી શરૂ કરી હતી. આવી જ રીતે તાઈવાનના તાઈપેમાં ભારતનું એક કાર્યાલય કાર્યરત છે, જેનું નામ ઈન્ડિયા-તાઈપે એસોસિએશન (ITA) છે. બંને દેશમાં આ સુવિધા વેપાર, રોકાણ, પ્રવાસન, શિક્ષણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે.

રાજદ્વારી કાર્યાલયનો હેતુ ભારત સાથે સંબંધોને આગળ વધારવાનો

તાઈવાનના વિદેશ મંત્રાલયે મુંબઈમાં રાજદ્વારી કચેરીની સ્થાપનાને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજદ્વારી કાર્યાલયનો હેતુ ભારત સાથે સંબંધોને આગળ વધારવાનો અને સહયોગને મજબૂત બનાવવાનો છે. તમને જણાવી દઈએ કે તાજેતરના વર્ષોમાં ભારત અને તાઈવાન વચ્ચે અર્થતંત્ર, વેપાર, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સપ્લાય ચેઈન, કલ્ચર, શિક્ષણ અને પરંપરાગત ચિકિત્સા સહિત ઘણા ક્ષેત્રોમાં સહકારમાં ઘણી પ્રગતિ થઈ છે.

આ પણ વાંચો : અમેરિકા, ચીન, બ્રિટન સહિત વિશ્વના દેશોને આ મામલે ભારતે પાછળ છોડી દીધા, વાંચો આ અહેવાલ

ચીન અને તાઈવાનના સંબંધો પણ બગડી રહ્યા છે

ચીન તાઈવાનને પોતાનો એક અભિન્ન હિસ્સો માને છે તેથી તાઈવાનના આ પગલાથી ચીનને મરચા લાગશે. ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યારે તાઈવાને ભારતમાં ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલવાનો નિર્ણય લીધો છે. તાઈવાનની સરકાર તેના દેશને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે આગળ લઈ જવા માંગે છે, જેનો ચીન સતત વિરોધ કરી રહ્યુ છે. આ કારણથી જ હવે ચીન અને તાઈવાનના સંબંધો પણ બગડી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો