Breaking News : સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, ભારત સાથે ખાસ સંબંધ છે

નેપાળની વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુશીલા કાર્કી શુક્રવારે રાત્રે નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હોવાના અહેવાલ વિવિધ મીડિયામાં પ્રકાશિત થયા હતા.

Breaking News : સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, ભારત સાથે ખાસ સંબંધ છે
| Edited By: | Updated on: Sep 12, 2025 | 9:54 PM

ભારે અરાજકતા બાદ, આખરે નેપાલને નવી વચગાળાની સરકાર મળી છે. નેપાળના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે શુક્રવારે મોડીરાત્રે શીતલ નિવાસ ખાતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન અને કાર્યકારી વડા બન્યા છે. પ્રથમ વડા પ્રધાન બનતા પહેલા, તેમનો પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બનવાનો રેકોર્ડ પણ હતો. કાર્કીનો ભારત સાથે ખાસ સંબંધ રહ્યો છે, સુશીલા કાર્કીએ ભારતમાં અભ્યાસ કર્યો છે.

શુક્રવારે આખો દિવસ ચાલેલી ઉગ્ર ચર્ચા વિચારણા બાદ, આખરે સંસદ ભંગ કરવા પર સર્વસંમતિ સધાઈ હતી. સંસદ ભંગ કરવી એ આંદોલનકારી જનરેશન-ઝેડ અને કેટલાક રાજકીય દળોની મુખ્ય માંગ હતી. યુવા આંદોલનકારીઓના કડક વલણ બાદ, સંસદ ભંગ કરવાનો અને સુશીલા કાર્કીની નિમણૂક પર આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો. આનાથી કાર્કી માટે વચગાળાના વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો હતો.

રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

શુક્રવારે એક પછી એક બેઠકો મળ્યા બાદ, નેપાળના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી કે, તેઓ સંસદ ગૃહ ભંગ કરવાની તૈયારી કરી રહ્યા છે અને તાત્કાલિક સુશીલા કાર્કીને શપથ લેવડાવે છે. તેમની જાહેરાત પછી, શીતલ નિવાસ ખાતે પ્રતિનિધિ ગૃહ ભંગ કરીને સુશીલા કાર્કીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. આ પછી, રાત્રે તેમણે શપથ લીધા હતા.


નેપાળમાં રાજકીય કટોકટી ગયા અઠવાડિયે શરૂ થઈ હતી, જ્યારે સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ પછી, હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનને દબાવવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી અને દેશભરમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ પછી, કેપી ઓલીએ મંગળવારે પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી, નવી વચગાળાની સરકાર બનાવવાના પ્રયાસો શરૂ થયા.

કાર્કીના ભારત સાથેના સંબંધો

સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બનવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 1979માં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. આ પછી, તેઓ ન્યાયાધીશ બન્યા અને જુલાઈ 2016 થી જૂન 2017 સુધી નેપાળના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. મુખ્ય ન્યાયાધીશ તરીકે, તેમણે આવા ઘણા નિર્ણયો આપ્યા, જેનાથી લોકશાહીના રક્ષક તરીકે કોર્ટની ભૂમિકા મજબૂત થઈ.

સુશીલા કાર્કી ભ્રષ્ટાચારને બિલકુલ સહન ન કરતી ન્યાયાધીશ તરીકે જાણીતી હતી. તેમની આ છબીનો તેમને તાજેતરના રાજકીય વિકાસ અને ઉથલપાથલમાં ફાયદો થયો છે. તેમનો ભારત સાથે પણ ખાસ સંબંધ છે. સુશીલા કાર્કીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)માંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે.

નેપાળમાં આ સપ્તાહના પ્રારંભે GEN-Z દ્વારા આંદોલન કરવામા આવ્યું હતું. આ આંદોલન હિંસક બન્યુ હતું અને સરકારને  રાજીનામુ આપવુ પડ્યું હતું. નેપાળના તમામ સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો

Published On - 9:30 pm, Fri, 12 September 25