આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં લાંબી રાહ જોયા બાદ દેશને નવા રાષ્ટ્રપતિ મળ્યા છે. શ્રીલંકાની સંસદે આજે ગુપ્ત મતદાન દ્વારા કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને (Ranil wickremesinghe) દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, 223 સાંસદોએ તેમને મત આપ્યા છે, જેમાં 4 રિજેક્ટ થયા અને 2 ગેરહાજર રહ્યા. આ પહેલા શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે બુધવારે સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી. ચૂંટણીમાં રાનિલ વિક્રમસિંઘેને 223માંથી 134 વોટ મળ્યા, જ્યારે ડલ્લાસ અલ્હાપ્પેરુમાને 82 વોટ મળ્યા અને અનુરા કુમારા દિસનાયકેને માત્ર 3 મત મળ્યા હતા.
વિક્રમસિંઘે બે મહિના પહેલા મે મહિનામાં શ્રીલંકાના પ્રધાનમંત્રી બન્યા હતા, ગોટાબાયાના રાજીનામા બાદ તેઓ દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. હવે તેમની પાસે ગોટાબાયાના બાકીના કાર્યકાળને પૂર્ણ કરવાનો આદેશ હશે, જે નવેમ્બર 2024 માં પૂરો થાય છે.
દેશની અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક કટોકટીનો સામનો કરવામાં ગોટાબાયા રાજપક્ષે સરકારની નિષ્ફળતા પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રાજકીય ઉથલપાથલ અને દેશમાં અરાજકતાના વાતાવરણ વચ્ચે ગોટાબાયાને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી ગુપ્ત રીતે યોજાઈ હતી.
કાર્યકારી પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે, ડલ્લાસ અલ્હાપ્પેરુમા અને ડાબેરી જનતા વિમુક્તિ પેરામુના (જેવીપી)ના નેતા અનુરા કુમારા દિસનાયકેને મંગળવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રૂપમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. કોઈપણ ઉમેદવારને ચૂંટણી જીતવા માટે, તેણે દેશની 225 સભ્યોની સંસદમાં 113 થી વધુ મતો મેળવવાના હોય છે.
એસએલપીપીના અધ્યક્ષ જી એલ પીરિસે ચૂંટણીના એક દિવસ પહેલા મંગળવારે જણાવ્યું હતું કે, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી) પાર્ટીના મોટાભાગના સભ્યોએ રાષ્ટ્રપતિ પદ માટે પાર્ટીના નેતા અલ્હાપ્પેરુમાને રાષ્ટ્રપતિ પદ માટે અને પ્રમુખ વિપક્ષી નેતા સજિત પ્રેમદાસાને પ્રધાનમંત્રી તરીકે પક્ષમાં પસંદ કરવામાં આવ્યા છે.
વિક્રમસિંઘે (73)ની સ્પર્ધા 63 વર્ષીય અલ્હાપ્પેરુમા અને જેવીપી નેતા અનુરા કુમારા દિસનાયકે (53) સામે હતી. અલ્હાપ્પેરુમા સિંહલી બૌદ્ધ રાષ્ટ્રવાદી છે અને એસએલપીપીથી અલગ થયેલા જૂથના પ્રમુખ સભ્ય છે.
શ્રીલંકામાં 1978 પછી પહેલી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી સાંસદો દ્વારા ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા 1993 માં કાર્યકાળની મધ્યમાં રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હતું, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ રણસિંઘે પ્રેમદાસાની હત્યા કરવામાં આવી હતી. તે સમયે ડીબી વિજેતુંગાને સંસદ દ્વારા સર્વાનુમતે પ્રેમદાસાની મુદત પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
Published On - 12:59 pm, Wed, 20 July 22