Breaking News : ‘નાપાક’ દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં મોટો વિસ્ફોટ, 15 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કોહાટમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 25થી વધુ ઘાયલ થયા છે.

Breaking News : નાપાક દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં મોટો વિસ્ફોટ, 15 લોકોના મોત
| Updated on: Sep 18, 2026 | 4:13 PM

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં પ્રચંડ વિસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે. કોહાટમાં ઓલ્ડ પોલીસ લાઇન્સ નજીક આવેલી મસ્જિદમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. વિસ્ફોટ સમયે મસ્જિદમાં મોટી સંખ્યામાં લોકો શુક્રવારની નમાજ અદા કરી રહ્યા હતા.

વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. મસ્જિદ સહિત નજીકની કેટલીક ઇમારતોને પણ નુકસાન થયું છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિસ્ફોટકોથી ભરેલું વાહન ઘૂસાડવામાં આવ્યું હોવાની આશંકા

ખૈબર પખ્તુનખ્વાના ઇન્સ્પેક્ટર જનરલ (IG) ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું હતું કે કોહાટ પોલીસ લાઇન્સની મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે વિસ્ફોટકોથી ભરેલું વાહન ઓલ્ડ પોલીસ લાઇન્સ વિસ્તારમાં ઘૂસાડવામાં આવ્યું હતું.

જોકે, વિસ્ફોટ ચોક્કસ કેવી રીતે થયો અને તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

વિસ્ફોટ બાદ ગોળીબાર

વિસ્ફોટ બાદ પોલીસ અને સશસ્ત્ર હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયાના અહેવાલ પણ સામે આવ્યા છે. આઈજી ઝુલ્ફીકાર હમીદે જણાવ્યું કે પોલીસ આતંકવાદ સામે મક્કમતાથી કાર્યવાહી કરી રહી છે.

તેમણે કહ્યું કે આવા હુમલાઓ પોલીસના સંકલ્પને નબળો પાડી શકશે નહીં. હુમલામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

બચાવ કામગીરી ચાલુ

રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટની માહિતી મળતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમોએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે અને ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે.

વિસ્ફોટની તીવ્રતાને કારણે મસ્જિદ અને આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.

મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા

ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ ઘટનાની નિંદા કરી છે. તેમણે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાને ગંભીર ગણાવી છે અને અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માંગ્યો છે.

હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઘટનાસ્થળને સુરક્ષિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિસ્ફોટ પાછળનો ચોક્કસ હેતુ અને હુમલાખોરોની ઓળખ અંગેની માહિતી તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય

Follow Us
Loading...
Unable to load recommendations.