
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભારે તણાવ ચાલી રહ્યો છે અને ગુરુવાર રાતથી આ તણાવ ઓપન વોરમાં પરિણમ્યો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કંધાર સહિત અન્ય પ્રાંતોમાં ઍરસ્ટ્રાઈક કરી, જેના જવાબમાં અફઘાન સેનાએ પણ હુમલા કર્યા. પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરાયેલા હવાઈ હુમલા બાદ ખ્વાજા આસિફે ખુલ્લા યુદ્ધની ધમકી આપી તણાવ વધારવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. આ અમારી અને તેમની ખુલ્લી જંગ છે.
ગત 21 ફેબ્રુઆરીએ પાકિસ્તાને અફઘાનિસ્તાનના પકતિકા, નંગરહાર અને ખોસ્ત પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા અને કહ્યુ કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઈસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંત (ISKP) સંબંધિત સાત આતંકવાદી શિબિરોને નિશાન બનાવી છે. પાકિસ્તાને દાવો કર્યો કે, તેમની પાસે મજબુત પુરાવા છે કે પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ બળવાખોરો પાકિસ્તાન પર હુમલા કરવા માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે.
જો કેપાકિસ્તાન દ્વારા કરાયેલા આ હુમલામાં કોઈ આતંકીના મોત તો ન થયા પરંતુ મહિલાઓ અને બાળકો સહિત 13 અફઘાની નાગરિકોના મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વાર પણ અફઘાની નાગરિકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. રમઝાનના પવિત્ર માસમાં નિર્દોષ અફઘાની નાગરિકોને મારવાનુ દુ:સાહસ પાકિસ્તાને કર્યુ ત્યારે અપેક્ષા હતી જ હવે અફઘાનિસ્તાન બિલકુલ શાંત નહીં રહે.અને થયુ પણ એવુ જ.
અફઘાનિસ્તાને ગઈકાલે ગુરુવાર મધ્ય રાત્રિએ ડુરંડ લાઈન નજીક પાકિસ્તાની સૈન્ય ચોકીઓે પર ઘાત લગાવીને ભીષણ હુમલા કર્યા છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુહાજિદે જણાવ્યુ કે આ ઓપરેશન પાકિસ્તાન દ્વારા કરાયેલા હુમલાની પ્રતિક્રિયા હતુ. જો કે તાલિબાને રાત્રે 12 વાગ્યે ઓપરેશન પુરુ થયુ હોવાની વાત કહી હતી પરંતુ ત્યારબાદ પારિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર અને પક્તિકામાં હવાઈ હુમલા કર્યા. જે બાદ બંને પક્ષો વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયુ. ખૈબર પખ્તુનખ્વામાં વિવાદીત ડુરંડ લાઈન પર પાકિસ્તાની સિક્યોરિટી ફોર્સ અને અફઘાની સૈનિકો વચ્ચે ભારે યુદ્ધની સ્થિતિ બનેલી છે.
તાલિબાની સૈનિકોનો દાવો છે કે આ ઓપરેશન દરમિયાન તેમણે પાકિસ્તાનના JF-17 લડાકુ વિમાનને તોડી પાડ્યુ છે, 2 મિલીટ્રી સહિત 19 પોસ્ટ પર કબજો કર્યો છે અને 55 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે. ટોલો ન્યૂઝે અફઘાનિસ્તાન સુરક્ષાદળોના હવાલાથી જણાવ્યુ કે અફઘાનિસ્તાન સેનાએ એક પાકિસ્તાની વિમાનને પણ તોડી પાડ્યુ છે. જે અફઘાનિસ્તાનની હવાઈ સીમામાં ઘુસ્યુ હતુ. તાલિબાન સાથે જોડાયેલા અનેક મીડિયા એકાઉન્ટમાં પાકિસ્તાની વિમાનને તોડી પાડવાનો દાવો કરાયો છે. દાવો છે કે તાલિબાનના એન્ટી એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનના વિમાન પર હુમલો કર્યો છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓપરેશન દરમિયાન, અફઘાન સેનાએ મિલિટ્રી સરકારના બે હેડક્વાર્ટર અને 19 ચેકપોસ્ટ પર કબજો કર્યો છે. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું કે ઓપરેશનમાં આઠ અફઘાન સૈનિકો “શહીદ” થયા હતા અને અન્ય 11 ઘાયલ છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તોરખામમાં પરત ફરનારાઓ માટેના કામચલાઉ કેમ્પ પર પાકિસ્તાની સેનાની ઍરસ્ટ્રાઈકમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહી પાકિસ્તાનની મિલીટ્રી સરકાર દ્વારા અફઘાન પ્રદેશ પર તાજેતરના હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.
તાલિબાનના ઉગ્ર વળતા હુમલા બાદ પાકિસ્તાની સેના તણાવમાં છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી ઇશાક ડારે અચાનક સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન બિન અબ્દુલ્લાહને ફોન કરીને મદદની વિનંતી કરી. સાઉદી પ્રેસ એજન્સી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ઇશાક ડારે સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાનને ફોન કરીને તણાવ ઘટાડવામાં મદદની વિનંતી કરી હતી. નિવેદનમાં તાલિબાનનો ઉલ્લેખ નથી, પરંતુ વિશ્લેષકો કહે છે કે આ ફોન એવા સમયે આવ્યો છે જ્યારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલ ઓપન વોરની સ્થિતિ બનેલી છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે તાજેતરમાં એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેમાં એવી શરત મૂકવામાં આવી છે કે પાકિસ્તાન પર હુમલો સાઉદી અરેબિયા પર હુમલો માનવામાં આવશે. તાજેતરમાં, સાઉદી અરેબિયાના હસ્તક્ષેપ બાદ, તાલિબાને રમઝાનના સન્માનમાં કેટલાક પાકિસ્તાની સૈનિકોને મુક્ત કર્યા. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ફરી એકવાર ઇચ્છે છે કે સાઉદી અરેબિયા તણાવને સમાપ્ત કરવા માટે હસ્તક્ષેપ કરે. પાકિસ્તાને સાઉદી પ્રિન્સને તણાવ ઘટાડીને પ્રદેશની સુરક્ષા અને સ્થિરતાનું રક્ષણ કરવા વિનંતી કરી છે. દરમિયાન, ઘણા પાકિસ્તાનીઓ સાઉદી પ્રિન્સ અને ઇશાક ડારના ફોન પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ અને પ્રદેશની અખંડિતતા સાથે સમાધાન કરશે નહીં. અમારી સેનાનો પ્રતિભાવ સંપૂર્ણ અને નિર્ણાયક છે. જે લોકો અમારી શાંતિને નબળાઈ માને છે તેમને કડક જવાબ મળશે. અને કોઈ પણ અમારી પહોંચની બહાર રહેશે નહીં.”
આ દરમિયાન, ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે કંદહાર અને હેલમંડમાં ડ્યુરાન્ડ લાઇન પર પાકિસ્તાની લશ્કરી શાસન સુરક્ષા ચોકીઓ સામે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અગાઉ, ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે પૂર્વ અને દક્ષિણપૂર્વમાં બદલો લેવાના હુમલાઓ બાદ પાકિસ્તાની લશ્કરી શાસને કાબુલ, કંદહાર અને પક્તિયામાં અનેક સ્થળોએ બોમ્બમારો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનના લશ્કરી હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ તરફ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર હવાઈ હુમલા બાદ પાકિસ્તાની જેટ કંધાર ઉપર હવાઈ પેટ્રોલિંગ કરી રહ્યા છે. એકદમ સટીક હવાઈ હુમલા કર્યા બાદ અમારા વિમાન હવે કંદહાર હવાઈ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે પાકિસ્તાની સૈન્ય કોઈપણ હુમલાનો સખત જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા દળો તોરખામ સરહદ પર તાલિબાની દળો સામે મજબૂત અને અસરકારક કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંત નજીક દક્ષિણ વઝીરિસ્તાનમાં શાવલ સેક્ટર નજીક તાલિબાન ચોકી પર સફળતાપૂર્વક કબજો કર્યો છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે હરહંમેશની જેમ પાકિસ્તાને અફઘાનિસ્તાનના હુમલામાં ભારત પર ઠીકરુ ફોડવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાની શાસન આવ્યુ છે, તેમણે તેના મુલ્કને ભારતની કોલોની બનાવી દીધો છે.
આસિફે જણાવ્યું હતું કે નાટો દ્વારા દળોને પાછી ખેંચી લીધા પછી અને અફઘાનિસ્તાનમાં સ્થાનિક સરકારની સ્થાપના પછી શાંતિ સ્થાપિત થવાની આશા હતી. જોકે, આવું થયું નથી. આનું કારણ એ છે કે તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધી છે. હવે, વિશ્વભરના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં ભેગા થયા છે અને અન્ય દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યા છે. અફઘાનિસ્તાનનો સામનો કરવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાને આ માટે પણ ભારતને દોષી ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્ય સ્થિતિ બનાવી રાખવા માટે તમામ પ્રયાસો કર્યા છે. અમે અમારા લેવલેથી પણ પ્રયાસ કર્યા અને મિત્ર દેશોની મદદ પણ લીધી છે.
આમ છતાં, તાલિબાને પોતાને ભારતના પ્રોક્સી તરીકે સ્થાપિત કરી લીધા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અફઘાનિસ્તાન સાથે વ્યવહાર કરવામાં અસમર્થ પાકિસ્તાન ભારતને નિશાન બનાવી રહ્યું છે. આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ભૂમિકા પહેલા સકારાત્મક હતી, અને તેણે લાખો અફઘાન શરણાર્થીઓને દેશમાં પ્રવેશવાની મંજૂરી પણ આપી હતી. પરંતુ હવે અમારુ ધૈર્ય જવાબ આપી રહ્યુ છે અને અમે ખુલ્લેઆમ અફઘાનિસ્તાન સાથે યુદ્ધમાં ઉતરી ગયા છીએ. આસિફ ઉપરાંત, પાકિસ્તાનના ગૃહમંત્રીએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે તાલિબાને ભૂલ કરી છે અને આપણી તાકાતને ઓછી આંકી છે.
મોહસીન નક્વીએ કહ્યુ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ લોકોએ રાતના અંધારામાં અમારા પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. આ હુમલામાં અફઘાનિસ્તાને નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરવાની કોશિશ કરી. નક્વીએ કહ્યુ આ દેશ સેના સાથે ખભે ખભો મિલાવીને ઉભો છે. અફઘાન તાલિબાને અમારા પર આટલો ભીષણ હુમલો કરીને મોટી ભૂલ કરી છે. હવે તેમણે ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવુ પડશે. અમે અમારી સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરીએ. ત્યારે સવાલ એ પણ છે કે જે પાકિસ્તાન હંમેશા ભારત પર કાયરતાપૂર્ણ હુમલો કરતુ આવ્યુ છે તેના પર મધરાત્રે હુમલો થયો તો ડઘાઈ ગયુ. મોહસીન નક્વી ભારત પરના હુમલા કેમ ભૂલી જાય છે.
Published On - 9:33 pm, Fri, 27 February 26