
તિબેટમાં ભૂકંપ અને ત્યારબાદ થયેલા ભૂસ્ખલનની અસર હવે નેપાળમાં જોવા મળી રહી છે. અચાનક આવેલા પૂરના કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂરના પાણીમાં લગભગ 1,000 લોકો તણાઈ ગયા હોવાની આશંકા છે. 300 જેટલા લોકો હજુ પણ ફસાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની માહિતી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના બિહાર અને ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
નેપાળી મીડિયાના અહેવાલ મુજબ, બુધવારે સવારે લગભગ 8 વાગ્યે તિબેટમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ બાદ લેન્ડ નદી નજીક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે નદીનો પ્રવાહ અવરોધાયો અને પાણીનો પ્રવાહ અચાનક બદલાઈ ગયો. ત્યારબાદ રસુઆ નદી મારફતે મોટા પ્રમાણમાં પાણી નેપાળ તરફ વહેવા લાગ્યું અને અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ.
આ ઘટનાને પગલે નેપાળ અને ચીનના વૈજ્ઞાનિકો ઘટનાસ્થળની સ્થિતિની તપાસ કરી રહ્યા છે. ભૂસ્ખલનનું ચોક્કસ કારણ શું છે અને કોઈ હિમનદી તળાવ ફાટ્યું છે કે નહીં, તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. હાલ આ ઘટનાના ચોક્કસ કારણને લઈને તપાસ ચાલી રહી છે.
નેપાળના જળ વિભાગના જણાવ્યા અનુસાર, તિબેટમાં લેન્ડ નદીનો પ્રવાહ ભૂસ્ખલનના કારણે અવરોધાઈ ગયો હતો. જેના કારણે પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો અને મોટી માત્રામાં પાણી એકઠું થયું. બાદમાં આ પાણી રસુઆ નદી તરફ વળ્યું અને અચાનક નેપાળમાં પ્રવેશ્યું.
રસુઆ નદીનું પાણી ભોટકોશી નદી મારફતે નેપાળના પહાડી વિસ્તારોમાં પહોંચ્યું હતું. પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી સ્થિતિ થોડી જ વારમાં ગંભીર બની ગઈ. જેના કારણે સ્થાનિક લોકોને સંભાળવાનો સમય પણ મળ્યો નહોતો.
આ દરમિયાન હિમનદી તળાવ ફાટવાની શક્યતા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નેપાળને આ અંગે અગાઉ કોઈ માહિતી આપવામાં આવી હતી કે નહીં, તે મુદ્દે પણ સવાલો ઊભા થયા છે.
અચાનક આવેલા પૂરના કારણે નેપાળમાં અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયાની માહિતી છે, જ્યારે આશરે 1,000 લોકો પૂરના પાણીમાં તણાઈ ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લગભગ 300 વાહનો પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
નેપાળ સેનાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે. બચાવ કામગીરી માટે 7 હેલિકોપ્ટર અને 35 બચાવકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે, પાણીનો અચાનક અને ઝડપી પ્રવાહ હોવાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, 345 પ્રવાસીઓ હજુ સુધી સંપર્કમાં આવ્યા નથી. ગુમ થયેલા પ્રવાસીઓમાં 291 વિદેશી નાગરિકો હોવાની માહિતી છે. બચાવ ટીમો તેમની શોધખોળમાં લાગી છે.
નેપાળમાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. નેપાળ સરકારે રસુવા, નુવાકોટ અને ધાડિંગને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સામેલ કર્યા છે.
ભારતમાં બિહારના ચંપારણ, બેતિયા, ગોપાલગંજ, મધુબની અને સીતામઢી સહિતના સરહદી જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. નેપાળમાંથી નીકળતી અનેક નદીઓ આ વિસ્તારોમાંથી પસાર થતી હોવાથી પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના નેપાળ સરહદે આવેલા કેટલાક જિલ્લાઓમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નદીના જળસ્તરમાં થતા ફેરફાર અંગે સતત માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
શું ‘પાલતુ પ્રાણી’ તમારી સાથે ફ્લાઇટમાં વિદેશ જઈ શકે? તેમના માટે પાસપોર્ટ-વિઝા કઢાવવા પડે? મહત્વના નિયમો જાણી લો