
પીએમ નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ભારત-ઇટાલીના સંબંધોને લઈને એક મોટું તેમજ લાંબું વિઝન રજૂ કર્યું છે. બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે, હવે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયે ભારત-ઇટાલી માત્ર મિત્રો જ નહીં પરંતુ ટેકનોલોજી, વેપાર, સંરક્ષણ, ઊર્જા, એઆઈ (AI) અને વૈશ્વિક સુરક્ષામાં મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર (સ્ટ્રેટેજિક પાર્ટનર) બનવા માંગે છે. એવામાં જ્યારે પીએમ મોદી એક મહત્વપૂર્ણ પ્રવાસે ઇટાલી પહોંચ્યા છે, ત્યારે બંને નેતાઓએ મળીને એક આર્ટિકલ (લેખ) લખ્યો છે અને તેમાં આવનારા વર્ષો માટેના કેટલાક મોટા લક્ષ્યો તેમજ યોજનાઓ વિશે જણાવ્યું છે.
#WATCH | Prime Minister Narendra Modi meets Prime Minister of Italy, Giorgia Meloni in Rome, Italy.
(Source: ANI/DD News) pic.twitter.com/ZbtaPgYNaK
— ANI (@ANI) May 20, 2026
બંને નેતાઓએ જણાવ્યું છે કે, ભારત અને ઇટાલીના સંબંધો હવે માત્ર સારા સંબંધો પૂરતા સીમિત નથી રહ્યા. હવે આ ભાગીદારી લોકશાહી, આઝાદી, સમાન મૂલ્યો અને ભવિષ્યની વિચારધારા પર આધારિત એક ખાસ વ્યૂહાત્મક સંબંધ બની ચૂકી છે. તેમણે કહ્યું કે, બદલાતી દુનિયામાં બંને દેશો સાથે મળીને નવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માંગે છે.
આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, આજે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. આવા સમયે ભારત અને ઇટાલી રાજકીય અને સંસ્થાકીય સ્તરે સતત વાતચીત કરી રહ્યા છે. બંને દેશો માને છે કે, 21મી સદીમાં એ જ દેશો આગળ વધશે, જે નવી ટેકનોલોજી અપનાવશે, ઊર્જાના પરિવર્તનને યોગ્ય રીતે સંભાળશે અને વ્યૂહાત્મક રીતે મજબૂત બનશે.
બંને નેતાઓએ કહ્યું કે, ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા, એન્જિનિયરિંગ ટેલેન્ટ, મોટાપાયે ઉત્પાદન ક્ષમતા અને 100 થી વધુ યુનિકોર્ન તેમજ 2 લાખ સ્ટાર્ટઅપ્સની તાકાતને ઇટાલીની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સુપરકોમ્પ્યુટર ક્ષમતા સાથે જોડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, આ માત્ર ભાગીદારી નથી પરંતુ “કો-ક્રિએશન” એટલે કે સાથે મળીને નવું મૂલ્ય (વેલ્યુ) ઊભું કરવાનું મોડલ હશે.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વ્યાપાર કરાર)ને બંને દેશોએ એક મોટી તક ગણાવી છે. આ આર્ટિકલમાં ભારત અને ઇટાલીએ વર્ષ 2029 સુધીમાં 20 બિલિયન યુરોથી વધુના વ્યાપારનું લક્ષ્ય રાખ્યું છે. સાથે જ જણાવ્યું કે, સંરક્ષણ, એરોસ્પેસ, ક્લીન ટેકનોલોજી, મશીનરી, ઓટોમોબાઈલ પાર્ટ્સ, કેમિકલ્સ, દવાઓ, ટેક્સટાઈલ, ખેતી અને પ્રવાસન જેવા સેક્ટર્સ પર ખાસ ફોકસ રહેશે.
આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, “મેડ ઇન ઇટાલી” દુનિયામાં ગુણવત્તાનું પ્રતીક માનવામાં આવે છે. “મેક ઇન ઇન્ડિયા” ભારતની મેન્યુફેક્ચરિંગ તાકાતને દર્શાવે છે. આવામાં બંને દેશોની કંપનીઓ હવે એકબીજાના દેશમાં ઝડપથી રોકાણ કરી રહી છે. હાલમાં બંને તરફ 1000 થી વધુ કંપનીઓ કાર્યરત છે, જેને એક સકારાત્મક સંકેત ગણાવવામાં આવ્યો છે. આનાથી સપ્લાય ચેઈન અને ઇન્ડસ્ટ્રી કનેક્શન વધુ મજબૂત બનશે.
બંને નેતાઓએ જણાવ્યું કે, આવનારા દાયકાઓમાં એઆઈ (AI), ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ દુનિયા બદલી નાખશે. ભારતની ડિજિટલ તાકાત અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સને ઇટાલીની ઔદ્યોગિક કુશળતા સાથે જોડીને નવી ટેકનોલોજી પર કામ કરવામાં આવશે. યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરો વચ્ચેની ભાગીદારી પણ વધારવામાં આવશે.
ભારત અને ઇટાલીનું માનવું છે કે, AI માણસોની મદદ માટે હોવું જોઈએ, નહીં કે લોકોના અધિકારો છીનવવા કે લોકશાહીને પ્રભાવિત કરવા માટે. ભારતના “માનવ” વિઝન અને ઇટાલીના “એલ્ગોર-એથિક્સ” મોડલનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, ટેકનોલોજી માનવીય ગરિમાની રક્ષા કરે. બંને દેશો ઈચ્છે છે કે, AIનો ફાયદો ખાસ કરીને ગ્લોબલ સાઉથના ગરીબ અને વિકાસશીલ દેશો સુધી પહોંચે.
બંને દેશો સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ, સાયબર સુરક્ષા, ડિજિટલ ટ્રેનિંગ અને મજબૂત સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સાથે મળીને કામ કરશે. તેમનો હેતુ એવો ડિજિટલ માહોલ બનાવવાનો છે કે, જ્યાં દરેક દેશ સુરક્ષિત રીતે એઆઈ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે.
ભારતની સ્પેસ ટેકનોલોજી અને ઇટાલીની એરોસ્પેસ એન્જિનિયરિંગને મિક્સ કરીને નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવાની યોજના છે. આ સિવાય બંને દેશો સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક ટેકનોલોજી પર પણ સાથે કામ કરશે. આતંકવાદ, સાયબર ક્રાઇમ, ડ્રગ્સની તસ્કરી અને માનવ તસ્કરી જેવા જોખમો સામે સાથે મળીને લડવાની વાત કહેવામાં આવી છે.
છેલ્લે, ભારત-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC)ને બંને નેતાઓએ ભવિષ્યનો મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. આ કોરિડોર ટ્રાન્સપોર્ટ, ઊર્જા, ડેટા નેટવર્ક અને સપ્લાય ચેઈનને જોડવાનું કામ કરશે. આ સાથે જ ભારત અને ઇટાલી ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા), સ્માર્ટ ગ્રીડ અને મજબૂત ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ સાથે કામ કરશે. બંને દેશોએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી પહેલોને પણ અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે.