કેન્યામાં માર્યા ગયેલા પાકિસ્તાની પત્રકાર અરશદ શરીફના મામલાને લઈને પાડોશી દેશમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આ હત્યાને ટાર્ગેટ કિલિંગ ગણાવીને અનેક આરોપો લગાવ્યા છે. હવે આ અંગે પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. લોકોને લશ્કરી સંસ્થાઓમાં વિશ્વાસ જાળવવા વિનંતી કરતા, પાકિસ્તાન આર્મીના ટોચના જનરલે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાની સૈન્ય કર્મચારીઓ ભૂલો કરી શકે છે, પરંતુ તેઓ ક્યારેય દેશદ્રોહી કે કાવતરાખોર ન હોઈ શકે.
સૈન્ય પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે આઈએસઆઈ ચીફ લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમ વતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. ઈફ્તિખારે કહ્યું, અમે ભૂલો કરી શકીએ છીએ, પરંતુ અમે ક્યારેય દેશદ્રોહી કે ષડયંત્રકારી ન હોઈ શકીએ. લોકો વિના આર્મી કંઈ નથી. તેમણે કહ્યું કે, જો આપણે ભૂતકાળમાં કોઈ ભૂલ કરી હોય તો છેલ્લા 20 વર્ષથી અમે તેને આપણા લોહીથી ધોઈ રહ્યા છીએ. અમે પાકિસ્તાનના લોકોને ક્યારેય નિષ્ફળ નહીં કરીએ, એ અમારું વચન છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફને આજની પ્રેસ કોન્ફરન્સની સંવેદનશીલતાથી વાકેફ કરવામાં આવ્યા છે.
પીટીઆઈના નેતા અસદ ઉમરે જણાવ્યું હતું કે બંધ દરવાજા પાછળ ચર્ચા કરવામાં આવેલી બાબતો ગુપ્ત નથી કારણ કે ખાને રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સમાં તેમની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, ખાન પાસે સેના અને દેશ બંને છે. પરંતુ શું ઈમરાન ખાન સેનાના દરેક નિર્ણય સાથે સહમત થશે ? તેમણે કહ્યું કે ખાનને પણ સેના સાથે અસહમત થવા અને તેની ટીકા કરવાનો અધિકાર છે. ઉમરે એમ પણ કહ્યું કે ઈમરાન ખાને ક્યારેય એવું કંઈ કહ્યું નથી જેનાથી સેના નબળી પડે.
પૂર્વ વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું કે આઈએસઆઈ ચીફની પ્રેસ કોન્ફરન્સમાં વસ્તુઓ વધુ જટિલ બની ગઈ છે. તેમણે કહ્યું, “અમને લાગે છે કે એક નવું પેન્ડોરા બોક્સ ખુલી ગયું છે.” ISI ચીફે પુષ્ટિ કરી હતી કે માર્યા ગયેલા પત્રકાર શરીફ જ્યારે દેશની બહાર હતા ત્યારે પણ તેઓ લશ્કરી સંસ્થાનના સંપર્કમાં હતા, પરંતુ તેની હત્યા વિશે કહેવામાં આવતી વાત સાથે પાકિસ્તાન સહમત નથી. જેથી સરકારે એક ટીમ બનાવી છે જે કેન્યા તપાસઅર્થે જશે.
શરીફ એઆરવાય ટીવીના પત્રકાર અને એન્કર હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન સાથે તેમની નિકટતા માટે જાણીતા હતા. પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓએ તેના પર રાજદ્રોહ અને રાષ્ટ્રવિરોધી નિવેદનો કરવાના આરોપમાં કેસ કર્યા બાદ તે આ વર્ષની શરૂઆતમાં જ કેન્યા ભાગી ગયો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના વડા લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમે ગુરુવારે જણાવ્યું હતું કે રાજકીય ઉથલપાથલ વચ્ચે તત્કાલિન સરકારે માર્ચમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને એક આકર્ષક ઓફર કરી હતી. આ દાવો કરીને ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના વડા લેફ્ટનન્ટ જનરલ અંજુમે પ્રેસ કોન્ફરન્સમાં પદભ્રષ્ટ વડાપ્રધાન ઈમરાન ખાન પર આકરા પ્રહારો કર્યા હતા.