ભારતીયોની વાપસી: યુદ્ધના ધોરણે વતન પરત ફરશે નાગરિકો, યુક્રેન અને રશિયાની ખાર્કિવ-બેલગોરોડ બોર્ડર ખોલવા મથામણ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે યુક્રેનમાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. હાલ સરકાર તેમને લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

ભારતીયોની વાપસી: યુદ્ધના ધોરણે વતન પરત ફરશે નાગરિકો, યુક્રેન અને રશિયાની ખાર્કિવ-બેલગોરોડ બોર્ડર ખોલવા મથામણ
Indian students (File Photo)
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:36 PM

Russia Ukraine war: રશિયા અને યુક્રેન (Ukraine) વચ્ચેના યુદ્ધના કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. યુદ્ધની વચ્ચે ફસાયેલા આ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ભારત સરકાર (Indian Government) એક મોટું પગલું ભરવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર ભારતીયોને પરત લાવવા માટે રશિયાના રૂટનો ઉપયોગ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાથે જ ભારતીયોની સુરક્ષિત વાપસી માટે યુક્રેનની ખાર્કિવ બોર્ડર (kharkiv Border) પણ ખોલવામાં આવી શકે છે, કારણ કે આ શહેર રશિયન બોર્ડરથી 40 કિલોમીટર દૂર છે. સરકાર ખાર્કિવથી વિદ્યાર્થીઓને રશિયા લાવવાનો અને બાદમાં તેમને ભારત લાવવા પ્રયાસ કરી રહી છે.

ભારત સરકાર ખાર્કિવ-બેલગોરોડ બોર્ડર ખોલવા માટે બંને દેશો સાથે વાતચીત કરી રહી છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ યુક્રેન અને રશિયા બંનેના અધિકારીઓના સંપર્કમાં છે. લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. યુક્રેનમાં વસતા ભારતીયોની સંખ્યા 25 હજાર છે. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ મેડિસિન અને નર્સિંગનો અભ્યાસ કરવા યુક્રેન ગયા હતા. પરંતુ યુદ્ધ ફાટી નીકળ્યા બાદ આ લોકો ત્યાં જ અટવાઈ ગયા છે. આ લોકોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ખાર્કિવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં મંગળવારે સવારે ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. વિદેશ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. મંત્રાલયે ટ્વિટ કર્યું કે, “અત્યંત દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.” મંત્રાલયે કહ્યું કે તે વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. મૃતક વિદ્યાર્થીની ઓળખ 21 વર્ષીય નવીન શેખરપ્પા ગ્યાંગૌદાર (Naveen) તરીકે કરવામાં આવી છે, જે ખાર્કિવ મેડિકલ યુનિવર્સિટીમાં ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો. ઉલ્લેખનીય છે કે નવીન કર્ણાટકનો રહેવાસી હતો.

ભારતીયોને યુક્રેન છોડવાની સલાહ આપી

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે મંગળવારે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને ટ્રેન અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી આજે તરત જ કિવ છોડવાનું સૂચન કર્યું હતું. દૂતાવાસે ટ્વીટ કર્યું, ‘કિવમાં ભારતીયોને સલાહ… વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીયોને આજે તરત જ કિવ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે.’

આ પણ વાંચો : Russia-Ukraine War: સ્પાઈસ જેટ આજે સ્લોવાકિયાથી યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ઉડાન ભરશે