
ઈમરાન ખાનઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે શાહબાઝ સરકારના કામોને કારણે વિદેશમાં દેશની મજાક ઉડાવવામાં આવી રહી છે. ઈમરાને કથિત રીતે પોતાના ભાષણમાં ‘ડર્ટી હેરી’ અને ‘સાયકોપેથ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેની સામે વધુ FIR નોંધવામાં આવી હતી. તેમણે કહ્યું કે ખતરનાક શાસક ગુંડાઓ નથી જાણતા કે દેશદ્રોહના વાહિયાત આરોપોથી પાકિસ્તાનની છબી ખરાબ થઈ રહી છે અને વિદેશમાં દેશની મજાક ઉડાવવામાં આવી રહી છે.
ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે પંજાબની ચૂંટણીમાં વિલંબ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન સ્વીકારવાથી વિદેશી રોકાણકારોને ખોટો સંદેશ જશે. આખરે, સરકાર વિદેશી રોકાણકારોને શું સંદેશ આપવા માંગે છે? જ્યારે સરકાર ખુદ કોર્ટના નિર્ણયને સ્વીકારી રહી નથી. રોકાણકારોએ ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ કેળવવો જરૂરી છે. સરકાર ખુદ સુપ્રીમ કોર્ટના આદેશને ફગાવી રહી છે, તો રોકાણકારોને શું ભરોસો રહેશે?
ઈમરાન ખાનનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે શાહબાઝ સરકારે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલને પદ છોડવાની માંગ કરી હતી. પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને ત્રણ જજોની બેન્ચે ફગાવી દીધી હતી. પાકિસ્તાનના ચીફ જસ્ટિસ પણ આ બેંચનો એક ભાગ હતા. કોર્ટમાં પ્રાંતીય ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચને સૂચનાઓ જારી કરવાની માંગ કરવામાં આવી હતી.
શાહબાઝ સરકારે કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. નેશનલ એસેમ્બલીએ પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. કોર્ટના નિર્ણયને નકાર્યા બાદ દેશમાં લોકતાંત્રિક મૂલ્યો પર ખતરો ઉભો થયો છે. ઈમરાન ખાને કહ્યું કે તેમની સામે રાજદ્રોહ અને પાર્ટીના વરિષ્ઠ નેતા અલી અમીન ગાંડાપુરને જેલમાં મોકલવા એ તેમની પાર્ટીની ચૂંટણી લડવાની ક્ષમતા ઘટાડવાનો પ્રયાસ છે. ઈમરાન ખાને જણાવ્યું કે તેમની વિરુદ્ધ 144 FIR દાખલ કરવામાં આવી છે.
Published On - 7:48 am, Sat, 8 April 23