
નેપાળમાં વિનાશક પૂર બાદ હવે ચીન-નેપાળ સરહદ નજીક નવી આફતનો ખતરો ઉભો થયો છે. ગિરોંગ સરહદ બંદર નજીક ગ્લેશિયર તૂટવાથી બનેલું કાટમાળનું તળાવ ઓવરફ્લો થવા લાગ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. તળાવમાંથી પાણી ઓવરફ્લો થતાં નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે, જેના પગલે નેપાળી સેનાએ રાહત અને બચાવ કામગીરીને અસ્થાયી રીતે સ્થગિત કરી છે. અધિકારીઓએ આગામી 90 મિનિટને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી છે.
ચીની ઇજનેરી ટીમના સર્વે મુજબ તળાવમાં પાણીનો જથ્થો 25 લાખ ઘન મીટરથી વધુ થઈ ગયો છે. એક દિવસ અગાઉ તળાવમાં આશરે 15થી 20 લાખ ઘન મીટર પાણી હોવાનો અંદાજ હતો. ચીને આગામી ત્રણ દિવસમાં વધુ આશરે 30 લાખ ઘન મીટર પાણી તળાવમાં પ્રવેશી શકે તેવી ચેતવણી આપી હતી. આ જથ્થો આશરે 1,200 ઓલિમ્પિક કદના સ્વિમિંગ પુલ જેટલો હોવાનું જણાવાયું છે.
નિષ્ણાતો અને અધિકારીઓને ભય છે કે કુદરતી કાટમાળથી બનેલું તળાવ ફાટ્યું અથવા મોટા પ્રમાણમાં પાણી તેના કિનારેથી વહી ગયું તો પાણી અને કાટમાળનો ધસમસતો પ્રવાહ નીચેના વિસ્તારોમાં પહોંચી શકે છે. નેપાળમાં પહેલાથી જ પૂરથી ભારે તબાહી સર્જાઈ છે, ત્યારે નવી પૂર જેવી સ્થિતિ સર્જાય તો નુકસાન વધુ ગંભીર બની શકે છે. નદી કિનારે આવેલા વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવી રહ્યું છે.
ચીની ઇજનેરોએ તળાવની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ તેમજ 3D મોડેલિંગ હાથ ધર્યું છે. તેમના અંદાજ મુજબ તળાવ આશરે 150 મીટર લાંબું અને 40થી 50 મીટર ઊંડું છે. જોખમ ઘટાડવા માટે કુદરતી બંધની નીચેની તરફ આઉટલેટ ચેનલ બનાવી પાણીનું નિયંત્રિત વિસર્જન કરવાનો વિકલ્પ પણ વિચારવામાં આવી રહ્યો છે.
અધિકારીઓના અંદાજ મુજબ તળાવમાં પાણીનો પ્રવાહ 1 સપ્ટેમ્બરની આસપાસ ટોચ પર પહોંચી શકે છે. સંભવિત તળાવ ફાટવા ઉપરાંત ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવા જોખમો પણ યથાવત છે. હાલ બચાવ ટીમોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તળાવ તથા નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો- Breaking News : તિબેટમાં વધુ એક ડેમ તૂટ્યો, થોડી વારમાં આ વિસ્તારમાં પાણી આવશે