
બાંગ્લાદેશમાં આજે રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારના પતન બાદ દેશમાં પ્રથમ વખત સંસદીય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. ભારતના સમય અનુસાર મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ ચૂંટણી સાથે જ ‘July Charter’ સંબંધિત રેફરેન્ડમ પણ યોજાઈ રહ્યો છે, જેના કારણે મતદારોને બે અલગ-અલગ બેલેટ પેપર પર મતદાન કરવાનું રહેશે.
સંસદીય ચૂંટણી માટે સફેદ બેલેટ પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે જુલાઈ ચાર્ટર રેફરેન્ડમ માટે રંગીન બેલેટ પેપર આપવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સત્તાવાર પરિણામ શુક્રવારે જાહેર થવાની શક્યતા છે.
બાંગ્લાદેશની સંસદની કુલ 300 બેઠકોમાંથી 299 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ વખતે કુલ 50 માન્ય અને નોંધાયેલ રાજકીય પક્ષો મેદાનમાં છે અને 2,028 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.
પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ મૂકાતા આ ચૂંટણીમાં તે પાર્ટી ભાગ લઈ રહી નથી. પરિણામે મુખ્ય મુકાબલો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા તારિક રહમાન અને જમાત-એ-ઇસ્લામીના અમીર શફીકુર રહમાન વચ્ચે છે. તારિક રહમાન પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા જિયાના પુત્ર છે અને દેશની રાજનીતિમાં મહત્વપૂર્ણ ચહેરો ગણાય છે. બીજી તરફ જમાત-એ-ઇસ્લામી પરંપરાગત રીતે ધાર્મિક વિચારધારાથી જોડાયેલી પાર્ટી તરીકે ઓળખાય છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. દેશના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ અને સૈનિક દળોની તૈનાતી કરવામાં આવી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સંભવિત હિંસાની આશંકા વ્યક્ત કરી છે, છતાં વિદેશી નિરીક્ષકોની હાજરીમાં મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવાની તૈયારી કરવામાં આવી છે.
આ ચૂંટણી માત્ર નવી સરકાર પસંદ કરવા માટે જ નહીં, પરંતુ દેશના બંધારણીય ભવિષ્યને નક્કી કરવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે સમગ્ર વિશ્વની નજર શુક્રવારે જાહેર થનારા પરિણામો પર ટકેલી છે.
13મી નેશનલ પાર્લામેન્ટની ચૂંટણી સાથે બાંગ્લાદેશમાં ‘જુલાઈ નેશનલ ચાર્ટર’ અંગે પણ જનમત સંગ્રહ (રેફરેન્ડમ) યોજાઈ રહ્યો છે. ગયા નવેમ્બરમાં મોહમ્મદ યુનુસની આંતરિક (ઇન્ટરિમ) સરકારે જાહેર કરેલા ઓર્ડિનન્સ મુજબ, આ રેફરેન્ડમ એક જ મુખ્ય પ્રશ્ન પર આધારિત છે, પરંતુ તેમાં ચાર મહત્વપૂર્ણ બંધારણીય અને રાજકીય મુદ્દાઓનો સમાવેશ થાય છે. મતદારો “હા” કે “ના”માં જવાબ આપી દેશના ભવિષ્યના રાજકીય માળખા અંગે નિર્ણય કરશે.
જુલાઈ ચાર્ટર અનુસાર, આવનારી ચૂંટણી પહેલા કેરટેકર સરકાર, ચૂંટણી આયોગ (Election Commission) અને અન્ય બંધારણીય સંસ્થાઓ નવી પ્રક્રિયા મુજબ રચવામાં આવશે. હેતુ એ છે કે ચૂંટણી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ અને પારદર્શક બને. આ સુધારો ચૂંટણી પ્રણાલીમાં વિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
હાલ બાંગ્લાદેશમાં એક જ સદનવાળી સંસદ છે, પરંતુ ચાર્ટર મુજબ આગામી સંસદ બે સદનોની રહેશે. નેશનલ ચૂંટણીમાં પાર્ટીઓને મળેલા મતપ્રતિશતના આધારે 100 સભ્યોનું એક અપપર હાઉસ (ઉચ્ચ સદન) બનાવાશે. બંધારણમાં કોઈપણ ફેરફાર કરવા માટે અપપર હાઉસના બહુમતી સભ્યોની મંજૂરી ફરજિયાત રહેશે. આ પ્રસ્તાવનો હેતુ કાનૂની સુધારાઓમાં વધુ સંતુલન અને ચર્ચા સુનિશ્ચિત કરવો છે.
આગામી ચૂંટણીમાં જીતનાર પાર્ટી અથવા ગઠબંધનને જુલાઈ નેશનલ ચાર્ટરમાં સહમતિ થયેલા 30 પ્રસ્તાવો અમલમાં મૂકવા પડશે. તેમાં સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવું, ડેપ્યુટી સ્પીકર અને સંસદીય સમિતિઓના અધ્યક્ષપદ માટે વિરોધપક્ષમાંથી પસંદગી કરવી, પ્રધાનમંત્રીના કાર્યકાળને મર્યાદિત કરવો, રાષ્ટ્રપતિની સત્તાઓ વધારવી, મૂળભૂત અધિકારોનો વિસ્તાર કરવો, ન્યાયપાલિકા અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓને વધુ સ્વતંત્રતા આપવી જેવા મુદ્દાઓ સામેલ છે.
જુલાઈ ચાર્ટરમાં દર્શાવાયેલા અન્ય સુધારાઓ રાજકીય પાર્ટીઓ દ્વારા આપેલા વચનો મુજબ તબક્કાવાર અમલમાં મુકવામાં આવશે.
Published On - 8:06 am, Thu, 12 February 26