Breaking News : કરાચીમાં ભારે વિસ્ફોટથી ધ્રૂજયું પાકિસ્તાન ! PAK રેન્જર્સ હેડક્વાર્ટર પાસે થયો ગોળીબાર, આત્મઘાતી હમલાની આશંકા

કરાચીમાં પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબાર થયો. પ્રાથમિક અહેવાલ મુજબ આત્મઘાતી હુમલાની આશંકા છે. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Breaking News : કરાચીમાં ભારે વિસ્ફોટથી ધ્રૂજયું પાકિસ્તાન ! PAK રેન્જર્સ હેડક્વાર્ટર પાસે થયો ગોળીબાર, આત્મઘાતી હમલાની આશંકા
| Updated on: Jun 27, 2026 | 11:26 PM

પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારના બ્લોક-6માં આવેલા પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય (હેડક્વાર્ટર) નજીક જોરદાર વિસ્ફોટો અને ભારે ગોળીબારના અહેવાલો મળ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અહીં આત્મઘાતી હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, પ્રથમ એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના થોડા સમય બાદ વધુ બે નાના વિસ્ફોટ થયા. વિસ્ફોટો બાદ વિસ્તારમાં લગભગ અડધો કલાક સુધી સતત ગોળીબાર ચાલ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ સુધી કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નથી. તેમજ જાનહાનિ અથવા ઇજાગ્રસ્તોની સંખ્યા અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસમાં વ્યસ્ત છે.

પાકિસ્તાની મીડિયા સંસ્થાઓ ARY ન્યૂઝ અને જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઘટના કરાચી યુનિવર્સિટી અને પાકિસ્તાનના હવામાન વિભાગના કાર્યાલયની નજીક બની હતી. આ વિસ્તારને સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

શું છે પાકિસ્તાન રેન્જર્સ?

પાકિસ્તાન રેન્જર્સ દેશનું અર્ધલશ્કરી દળ (Paramilitary Force) છે, જે મુખ્યત્વે સરહદ સુરક્ષા, આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આતંકવાદ વિરોધી કામગીરી માટે જવાબદાર છે. આ દળ રમખાણો પર નિયંત્રણ, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા અને મહત્વપૂર્ણ વ્યક્તિઓ (VIP)ની સુરક્ષા જેવી જવાબદારીઓ પણ નિભાવે છે.

પાકિસ્તાન રેન્જર્સ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, જોકે જરૂરિયાત મુજબ તે પાકિસ્તાન સેના સાથે સંયુક્ત રીતે પણ કામગીરી કરે છે. આ દળના બે મુખ્ય વિભાગ છે—પંજાબ રેન્જર્સ, જે ભારત-પાકિસ્તાન સરહદના પંજાબ સેક્ટરની દેખરેખ રાખે છે, અને સિંધ રેન્જર્સ, જે કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે.

કરાચીમાં આતંકવાદ વિરોધી અભિયાન અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સિંધ રેન્જર્સની વારંવાર તૈનાતી કરવામાં આવે છે. તેથી ગુલિસ્તાન-એ-જોહર સ્થિત રેન્જર્સ હેડક્વાર્ટરને ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારોમાં ગણવામાં આવે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં થયેલી આ ઘટના બાદ સમગ્ર શહેરમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે.

PM મોદી સેશેલ્સની મુલાકાતે, વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી ‘જોનાથન’ સાથે કરી મુલાકાત

Published On - 11:02 pm, Sat, 27 June 26

Follow Us