
ચીને ફરી એકવાર ભારતના અરૂણાચલ પ્રદેશ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યુ કે ચીન ભારતના અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી, તેમણે અરૂણાચલ પ્રદેશને જાંગનાન એટલે કે દક્ષિણી તિબ્બત ગણાવ્યો છે. ચીને 10 એપ્રિલે અરૂણાચલ પ્રદેશના 23 સ્થાનોના નવા નામ જાહેર કર્યા છે. આના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. હવે તેના જ જવાબમાં ચીનનું આ નિવેદન આવ્યુ છે. ચીન 2017 થી લઈને અત્યાર સુધીમાં અવારનવાર અરૂણાચલ પ્રદેશના વિસ્તારોના ચીની નામ જારી કરતુ રહ્યુ છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને મંગળવારે જણાવ્યુ કે જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ખોટી રીતે સ્થાપિત કરવામાં આવેલ તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા નથી આપી. ગિઓ જિયાકુને દાવો કર્યો છે કે જાંગનાન ક્ષેત્રના કેટલાક સ્થાનોના નામોનું પ્રમાણીકરણ સંપૂર્ણપણે ચીનના સાર્વભૌમત્વના દાયરામાં આવે છે. રવિવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાના પ્રતિભાવ પર તેમની પ્રતિક્રિયા માગવામાં આવતા તેમણે આ ટિપ્પણી કરી હતી. જેમા બાદમાં ચીનના આ પગલાનો સખત વિરોધ કર્યો હતો અને તેને નકારી કાઢ્યો હતો.
ચીન લાંબા સમયથી અરુણાચલ પ્રદેશને જાંગનાન (દક્ષિણ તિબેટ) તરીકે ઓળખાવે છે. તાજેતરના નિવેદનમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુએ દાવો કર્યો હતો કે, જાંગનાન ચીનનો વિસ્તાર છે અને ચીને ભારત દ્વારા ગેરકાયદેસર રીતે સ્થાપિત કરવામાં આવેલા કહેવાતા અરુણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર્યો નથી. ચીનનું માનવું છે કે આ વિસ્તારોના નામોનું માનકીકરણ કરવું એ તેમની પોતાની સંપ્રભુતાનો વિષય છે. આ પ્રકારના નિવેદનો દ્વારા ચીન આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખોટો નેરેટિવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને ભારત હંમેશાથી ફગાવતું આવ્યું છે.
ચીનની આ ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે ભારત સરકારે સખત વિરોધ પ્રગટ કર્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સ્પષ્ટ કર્યું છે કે ભારત ચીન દ્વારા કરવામાં આવતા આવા કોઈ પણ તોફાની, ઉશ્કેરણીજનક પ્રયાસોને સમર્થન આપતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચીન ભલે ગમે તેટલા ખોટા દાવા કરે અથવા પાયાવિહોણા નેરેટિવ ઘડવાની કોશિશ કરે, પરંતુ તે સત્યને બદલી શકતું નથી. અરુણાચલ પ્રદેશ સહિતના આ વિસ્તારો અને સ્થળો પહેલા પણ ભારતનો હિસ્સો હતા, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભારતની આ આકરી પ્રતિક્રિયા દર્શાવે છે કે દેશ પોતાની અખંડિતતા અને સાર્વભૌમત્વ બાબતે કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી.
ચીને જે 23 નવા નામોની યાદી જાહેર કરી છે, તેમાંના મોટાભાગના વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની અત્યંત નજીક આવેલા છે. આ વિસ્તારો વ્યૂહાત્મક અને સૈન્યની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ચીન આ વિસ્તારોના નામ બદલીને માત્ર કાગળ પર દાવો કરવા માંગતું નથી, પરંતુ તે આડકતરી રીતે સરહદ પર પોતાની પકડ મજબૂત હોવાનો દેખાવ કરવા માંગે છે. જોકે, ભારત પણ સરહદ પર પોતાની સુરક્ષા વ્યવસ્થા સતત મજબૂત કરી રહ્યું છે.
આ વિસ્તારોમાં નામ બદલવા પાછળનો ચીનનો હેતુ સૈન્ય ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો અને સરહદ પર રહેતા લોકોને ડરાવવાનો હોઈ શકે છે. ચીન આ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારી રહ્યું છે, જે ભારત માટે સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાનો વિષય છે.
એક તરફ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા એવું નિવેદન આપે છે કે ચીન ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ એવી આશા પણ વ્યક્ત કરે છે કે બંને પક્ષો એકબીજા તરફ ડગલાં માંડે અને સંબંધો માટે હિતકારક કાર્યો કરે, પરંતુ બીજી તરફ, તેઓ ભારતના સાર્વભૌમ ક્ષેત્ર પર દાવો કરીને અને કાલ્પનિક નામો આપીને સંબંધોમાં તણાવ ઉભો કરી રહ્યા છે. ચીનનું આ વર્તન જ તેની ચાલબાઝ નીતિનો પુરાવો આપે છે. જો કે ચીનની આ બદમાશી એ માત્ર નામો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તેની વિસ્તારવાદી માનસિકતાનું પ્રતીક છે. ભારત ચીનના આવા કોઈ પણ પ્રયાસોને સખત રીતે નકારી રહ્યું છે અને વૈશ્વિક મંચ પર પણ પોતાનો અવાજ બુલંદ કરી રહ્યુ છે.
ભૂતકાળની ગતિવિધિઓ અને પ્રાદેશિક વિસ્તરણ માત્ર અરુણાચલ પ્રદેશ જ નહીં, પરંતુ ચીન સમગ્ર એશિયામાં પોતાની પકડ જમાવવા માટે અવનવા પેતરા રચી રહ્યું છે.
ચીને ઉઇગુર મુસ્લિમોના વિસ્તારમાં નવી કાઉન્ટી બનાવી છે, જે પાકિસ્તાન હસ્તક ના કાશ્મીર (PoK) ની એકદમ નજીક છે. . આ ભારત માટે વ્યૂહાત્મક રીતે મોટી ચિંતા છે. ચીન ઈરાન કે અન્ય ખાડી દેશો સાથેના વિવાદમાં પાકિસ્તાનને મોહરા તરીકે વાપરે છે જેથી તે સીધા સંઘર્ષથી બચી શકે.
ભલે ચીન તેને જાંગનાન કહે કે ‘માનકીકરણ’ ના નામે જુઠ્ઠાણું ફેલાવે, પરંતુ જમીની હકીકત એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અતૂટ અંગ છે. આવનારા સમયમાં જોવાનું એ રહેશે કે ચીન પોતાની આ નકારાત્મક નીતિ ચાલુ રાખે છે કે પછી શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે કોઈ નક્કર પગલાં લે છે.