દેશ અને દુનિયામાં મળતા દરેક શાકભાજી અને ફળ આપણા શરીર અને સ્વાસ્થ્યને કોઈકને કોઈક રીતે લાભ કરે છે. દરેક શાકભાજી અને ફળમાં કોઈને કોઈ પૌષ્ટિક ગુણધર્મો હોય છે, જે શરીર અને આપણા આરોગ્યને અનેક લાભ મળે છે. હાલમાં યુરિક એસિડની (Uric acid) સમસ્યા લગભગ દરેક ત્રીજા-ચોથા વ્યક્તિમાં જોવા મળી રહી છે અને યુરિક એસિડ બનવાની અને વધવાની સમસ્યા યુવાનોમાં પણ વધુ જોવા મળી રહી છે. જ્યારે યુરિક એસિડ શરીરમાં વધુ પ્રમાણમાં જમા થાય છે, ત્યારે તે શરીરમાં બળતરા પેદા કરે છે. તેનાથી સાંધાનો દુખાવો પણ વધે છે. આમ તો સારા સ્વાસ્થ્ય માટે આપણને ઘણા શાકભાજી અને ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. પણ તેમાં પણ અમુક શાકભાજીનું સેવન આપણા શરીરને નડતી ચોક્કસ સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે, જેમાંથી એક છે દૂધી.
યુરિક એસિડની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચારનો (Home remedies) ઉપયોગ કરી શકાય છે. યુરિક એસિડથી રાહત મેળવવાનો એક ઉપાય છે દૂધીનો રસ પીવો. દૂધીનું જ્યૂસ પીવાથી યુરિક એસિડની સમસ્યા તો ઓછી થાય છે પણ બીજી ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે.
1.એક નાની દૂધી લો અને તેને છોલીને પાણીથી સાફ કરો.
2. હવે દૂધીને બે ભાગમાં કાપીને તેના બીજ કાઢી લો. ત્યાર બાદ દૂધીના નાના ટુકડા કરી લો.
3. ત્યારપછી, એક જ્યુસરમાં અડધો લીટર પાણીમાં દૂધીના આ ટુકડાને નાંખીને બરાબર પીસી લો.
4. તેને ગાળીને તરત જ તેનું સેવન કરો.
5. દૂધીના રસના વધુ ફાયદા મેળવવા માટે, તેને સવારે ખાલી પેટ પીવો.
1.લો-કેલરી ફૂડ હોવાને કારણે દૂધીના રસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે.
2.હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પરેશાન લોકોને દૂધીનો રસ પીવાથી ફાયદો થાય છે.
3.ડાયેટરી ફાઇબરથી ભરપૂર હોવાને કારણે, દૂધીનો રસ પીવાથી પાચન તંત્રની કામગીરીમાં મદદ મળે છે.
4.તેનાથી એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ ઓછી થાય છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી
Published On - 5:21 pm, Mon, 11 July 22