વડોદરા: મકરપુરા GIDCમાં ફેક્ટરીના પતરા સાફ કરવા ચડેલા કામદારનું પટકાતા મોત, પરિવારમાં માતમ

Vadodara: મકરપુરા GIDCમાં ફેક્ટરીના પતરા સાફ કરવા ચડેલા કામદારનું નીચે પટકાતા મોત નીપજ્યુ છે. પરિવારે કંપની સામે બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મૃતકના પિતાએ જણાવ્યુ કે તેમનો પુત્રને કોઈ સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા. તેમજ નીચે પણ સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી.

વડોદરા: મકરપુરા GIDCમાં ફેક્ટરીના પતરા સાફ કરવા ચડેલા કામદારનું પટકાતા મોત, પરિવારમાં માતમ
મૃતક
| Edited By: | Updated on: Jan 08, 2023 | 10:50 PM

વડોદરાના મકરપુરા વિસ્તારની GIDCમાં ફેકટરીના પતરા સાફ કરવા ચઢેલા કામદારનું નીચે પટકાતા મોત થયું. 70 ફૂટની ઉંચાઈએ કોઈ સેફ્ટી સાધનો વગર કામ કરવા ગયેલા કામદારનું નીચે પટકાતા જ મોત નિપજ્યું છે. જે બાદ મૃતકના સ્વજનોમાં રોષ ફેલાયો. કામદારના મોત બાદ તેની પત્ની અને પુત્રનો આધાર છીનવાઈ ગયો છે. પુત્રના મોત બાદ તેના પરિવારે કંપની સામે 60 લાખના વળતરની માગ કરી છે. 60 લાખના વળતરની માંગ સાથે તેનો મૃતદેહ વડોદરા કલેક્ટર કચેરી ખાતે લઈ આવ્યા હતા અને જ્યાં સુધી વળતર અંગે બાંહેધરી નહીં અપાય ત્યાં સુધી અહીંથી હટશે નહીં તેવી પરિવારે ચીમકી ઉચ્ચારી હતી.

આઠ વર્ષના ગાળામાં બે પુત્ર ગુમાવ્યા

મૃતકના પિતા ભાઈલાલ ભાઈએ વર્ષ 2014માં તેમનો એક પુત્ર અકસ્માતમાં ગુમાવ્યો હતો અને તેના વળતર અંગે હજુ વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે હવે તેમના બીજા પુત્રનું પણ કંપનીની છત પરથી પડતા મોત નીપજ્યું છે. 8 વર્ષના સમયગાળામાં પરિવારે બે-બે પુત્રો ગુમાવતા પરિવારના માથે આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. બે-બે જુવાનજોધ પુત્રને ગુમાવનાર પરિવારના દુ:ખનો પણ કોઈ પાર રહ્યો નથી.

 

પરિવારે કરી હતી 60 લાખના વળતરની માગ

મૃતકના પિતાએ જણાવ્યુ કે મારો પુત્ર કંપનીની છત ધોવા માટે ઉપર ચડ્યો હતો. ત્યારે તેને સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. તેમજ નીચે પણ તેની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. પિતાએ આરોપ લગાવ્યો કે આ સંપૂર્ણ બેદરકારી કંપનીની છે ત્યારે મારા પુત્રને ન્યાય મળવો જોઈએ. તેમણે જણાવ્યુ કે મારો પુત્ર પરિણીત છે અને તેને એક દીકરો પણ છે. તેમનાી પત્ની અને પુત્ર બંને નિરાધારા બમ્યા છે. તેમણે જણાવ્યુ મારો પુત્ર મહિને 30 હજાર કમાતો હતો તે પ્રમાણે 60 લાખનું વળતર ચુકવવામાં આવે.

જો કે પોલીસ, કંપનીના એચ.આર. મેનેજર અને યુનિયન લીડરની સાથે મૃતકના સ્વજનોની બેઠક મળી હતી. જે બાદ મૃતકના સગા 20 લાખના વળતરને લઈ સહમત થયા. જો કંપની વળતરમાં આનાકાની કરે તો કાયદાકીય લડાઈ લડવાની પણ મૃતકના સ્વજનોએ ચીમકી ઉચ્ચારી છે.

હજુ 10 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલી રિષી ફાઇબર્સ સોલ્યુશન કંપનીમાં કામ કરતા કર્મચારી પ્રતીક અરવિંદભાઈ પરમારનું કંપનીમાં કામ કરતી સમયે અકસ્માતે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું.