
રક્ષાબંધનનો પવિત્ર પર્વ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનનું પ્રતિક છે. સામાન્ય રીતે આ દિવસે દરેક બહેનનો ભાઈ તેની સાથે હોય છે, પરંતુ વડોદરામાં આ વર્ષે એક હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આદિવાસી નેતા ચૈતર વસાવાને રાખડી બાંધવા માટે તેમની બહેનોને જેલના દરવાજા સુધી પહોંચવું પડ્યું. આ મુલાકાત ચૈતર વસાવાની બહેનો માટે લાગણી અને દર્દ બંને લઈને આવી હતી.
જેલની અંદર ચૈતર વસાવાને રાખડી બાંધતી વખતે તેમની બહેનો ભાવુક બની ગઈ હતી. તેમણે ભાઈની વહેલી મુક્તિ અને સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. બહેનોએ જણાવ્યું કે આ સતત બીજું વર્ષ છે જ્યારે તેમને રક્ષાબંધનનો પર્વ જેલમાં જ ભાઈ સાથે ઉજવવો પડ્યો છે. તેમની આંખોમાં ભાઈ પ્રત્યેનો પ્રેમ અને તેની પરિસ્થિતિનો દુઃખ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. બહેનોએ ઉમેર્યું કે, “પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભાઈ જેલમાં છે, તો જલ્દી બહાર આવી જાય. અમે બધી બહેનો જ છીએ.”
તેમણે ચૈતર વસાવાના કાર્યની નોંધ લેતા કહ્યું કે, “બહુ સેવા કરે છે એટલે એમને ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે. ગરીબો માટે અવાજ ઉઠાવે એટલે એ ઘડીએ ઘડીએ જેલમાં આવવું પડે છે.” આદિવાસીઓ અને વંચિતોના હક માટે લડતા પોતાના ભાઈને જેલમાં રહેવું પડે તે તેમના માટે અત્યંત પીડાદાયક બાબત છે. આ નિવેદન ચૈતર વસાવાના સામાજિક કાર્ય અને તેના કારણે તેમને ભોગવવી પડી રહેલી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડે છે.
ચૈતર વસાવાને વનકર્મીઓ સાથે મારપીટ અને ધમકી આપવાના કેસમાં રાજપીપળા કોર્ટે સાત વર્ષની સખત જેલની સજા ફટકારી છે, સાથે જ રૂ.96 હજારનો દંડ પણ લાદ્યો છે. આ કાયદાકીય લડાઈ હજુ ચાલી રહી છે, ત્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોએ ભાઈની સલામતી અને જેલમાંથી વહેલી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. જેલના દરવાજા પાસે યોજાયેલી આ Raksha Bandhan મુલાકાતે ભાઈ-બહેનના સંબંધની લાગણીસભર તસવીર સામે લાવી છે.
આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે, ખાસ કરીને આદિવાસી સમાજમાં. ચૈતર વસાવાની કાયદાકીય લડાઈમાં આગળ શું થશે અને તેમને ક્યારે રાહત મળશે તેના પર સૌની નજર ટકેલી છે.
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર, તંત્રને તાત્કાલિક રિપેરિંગના આદેશ