વડોદરાના ભાયલી વિસ્તારના બાળકોનો પર્યાવરણ અને પક્ષીપ્રેમ લાવ્યો રંગ, રાજ્યસ્તરે થયુ સન્માન

Vadodara: જિલ્લાના ભાયલીના વણકરવાસના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળનો પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય ગોષ્ઠિના ઉદ્ઘઘાટન દરમ્યાન વિદ્યાર્થીનીઓ તેમજ તેમના ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું.

વડોદરાના ભાયલી વિસ્તારના બાળકોનો પર્યાવરણ અને પક્ષીપ્રેમ લાવ્યો રંગ, રાજ્યસ્તરે થયુ સન્માન
પર્યાવરણપ્રેમી બાળકોનું સન્માન
| Edited By: | Updated on: Jan 03, 2023 | 8:19 PM

વડોદરાના ભાયલી વણકરવાસના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના એક બાળ મંડળની પર્યાવરણ પ્રેમ અને પક્ષીઓ સાથેની મિત્રતા રંગ લાવી છે. પૂર્વ પત્રકાર અને પત્રકારિતા શિક્ષણકર્મી હિતાર્થ પંડ્યાના પ્રકૃતિ શિક્ષણ હેઠળ આ વિદ્યાર્થીઓએ ભાયલીના નાનકડા તળાવને સાચવવાના કામની સાથે અહીં આવતા વિવિધતાભર્યા પક્ષીઓની પક્ષી મિત્રો તરીકે ઓળખ કેળવી છે. તેમની પ્રકૃતિ પ્રત્યેની આ સમર્પિતતા માટે તેમનું અને તેમના ગુરુનું આંતરરાષ્ટ્રીય સ્તરની ગોષ્ઠિમાં રાજ્યસ્તરે સન્માન થયું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાના હસ્તે રવિવારે મહાત્મા મંદિર ખાતે જલપ્લાવિત વિસ્તારોની જાળવણી માટે ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ (ગીર) ફાઉન્ડેશનની આંતરરાષ્ટ્રીય ગોષ્ઠિના ઉદ્ઘઘાટન દરમ્યાન વડોદરાના ભાયલીની  વિદ્યાર્થીનીઓ તેમજ તેમના ગુરુનું સન્માન કરવામાં આવ્યું હતું.

વન મંત્રીએ તેમના સંબોધનમાં ભાયલીના બાળકો દ્વારા શરુ કરાયેલ વેટલેન્ડ બચાવવાના યજ્ઞના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે વડોદરાના બાળકોએ એક નવી પહેલ કરી છે જે બીજા શહેરોમાં ઉદાહરણરૂપ છે અને બાકીના શહેરોમાં પણ આવી પહેલ થવી જોઈએ. મુખ્ય વન સંરક્ષક (વાઈલ્ડ લાઈફ) સુધીર કુમાર ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જો વેટલેન્ડ માટેનો આ આંતરરાષ્ટ્રીય સેમિનાર આ બંધ હોલમાં પૂરો થઇ જશે અને તેની અસર શૂન્ય ગણાશે. ભાયલીના બાળકોની જેમ આ સંવાદને જળ પ્લાવિત ભૂમિ સુધી પહોંચાડવો પડશે.

ગત માસ દરમિયાન ગીર ફાઉન્ડેશન તરફથી બાળકોના ગુરુ હિતાર્થ પંડ્યાને તેમના વણકરવાસ નજીક આવેલ પક્ષી મિત્ર તળાવને પુનર્જીવિત કરવા અને બચાવવાના પ્રયાસો માટે સન્માનિત કરવાનું આમંત્રણ મળ્યું હતું પરંતુ તેમણે તેમના વિદ્યાર્થીઓને સાથે જ રાખવાની વાત કરી હતી જે આયોજકોએ સહર્ષ સ્વીકાર કરી હતી. છેલ્લા ચાર વર્ષથી વગર થાકયે અને હાર્યે ઝઝૂમી રહેલા બાળકોની આ સેનાના સેનાપતિ નંદની વણકરે પોતાની આ યાત્રાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા માટે સફાઈ કરવી અને અમે જે કરી રહ્યા છે તેમાં આસમાન જમીનનો ફરક છે. અમે આ ચાર વર્ષમાં અમારું પક્ષી મિત્ર તળાવ બચાવવા ઘણો સંઘર્ષ કર્યો છે અને કરી રહ્યા છીએ. અમારા વિસ્તારમાં સામાજિક દુષણ અને લોકો હજી પણ કચરો તળાવ કિનારે નાખે છે. પરંતુ અમે હાર માનવાના નથી અને પક્ષીઓ વિષે નું અમારું જ્ઞાન હજી પણ વધારીશું અને તળાવની સફાઈ કરતા રહીશું.

ચોથા ધોરણમાં ભણતી માન્યા એ તો મંચસ્થ મહાનુભાવોથી લઇને આમંત્રિત લોકોના દિલ પોતાની વાકછટાથી જીતી લીધા હતા. માન્યાએ જણાવ્યુ કે મારો એક વીડિયો જેમાં હું પક્ષીઓના ગુજરાતી નામો કડકડાટ બોલી રહી હતી એ હિતાર્થ સરે સોશિયલ મીડિયામાં મુક્યો હતો અને તેના લીધે હું ઘણી પ્રસિદ્ધ થઇ ગઈ છું પણ મારે તો બસ એટલું જ કેહવું છે કે જે લોકો એ મારો વીડિયો પસંદ કર્યો છે તેમણે ભાયલીમાં આવી તળાવને બચાવવાની અમારી લડતમાં સામેલ થવું પડશે. શાળામાં જે પદ્ધતિથી બાળકોને પર્યાવરણ ભણાવાઈ રહ્યું છે તે બદલવાની જરૂર છે. પોતાનો એક અનુભવ ટાંકતા માન્યા એ જણાવ્યું હતું કે તેના શિક્ષકે જયારે એક સવાલ લખ્યો ત્યારે તેમાં એક મોટી ખામી હતી. તેણે તેના શિક્ષકને નમ્રતાથી જણાવ્યું હતું કે દરજીડો સીવે અને સુગરી પોતાનો માળો ગૂંથે.

બાળકોના ગુરુ હિતાર્થે જણાવ્યું હતું કે એક તરફ જયારે મોટા વેટલેન્ડ જેમ કે વઢવાણા ચર્ચામાં રહે છે એટલું જ મહત્વ આપણે શહેરમાં આવેલ નાના તળાવોને આપવું જોઈએ. મેક્રો વેટલેન્ડ્સનો એક નવો અભિગમ અપનાવવો પડશે જેમાં તેની આસપાસ ના લોકોને જોડી આ મેક્રો વેટલેન્ડ ઈકોસીસ્ટમ ને જાળવી રાખવી પડશે. ભાયલીનું આ પક્ષી મિત્ર તળાવ કદાચ કોઈને નજરે નહિ ચઢ્યું હોય પરંતુ આ બાળકોએ ત્યાંજ 100 થી વધુ પક્ષીઓને જોયા છે. તેમણે જણાવ્યું કે સાચવવા અને વિક્સાવવામાં આવે તો આ લઘુ જળપ્લાવિત વિસ્તારો ઘર આંગણે પક્ષીતીર્થ બને અને પર્યાવરણ પ્રવાસનને વેગ મળે. વડોદરા વર્તુળના મુખ્ય વન સંરક્ષક અંશુમાન શર્મા અને વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક રવિરાજસિંહ રાઠોડ આ બાળકોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

 

 

Published On - 8:14 pm, Tue, 3 January 23

Follow Us
Loading...
Unable to load recommendations.