વડોદરા (Vadodara)ના 67 વર્ષિય રાષ્ટ્રપ્રેમી(Patriot) હરેન્દ્રસિંહ દાયમાં અનોખુ અભિયાન (Unique Campaign) ચલાવી રહ્યા છે. છેલ્લા 58 વર્ષથી સરદાર ભવનના નિયામક હરેન્દ્રસિંહ દાયમા લોકોને રાષ્ટ્રગીતનું ગાન સાચી રીતે કરતા શીખવે છે. તેઓ દેશના સન્માનના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજ (National Flag) અને રાષ્ટ્રગાનની સાચી પ્રણાલી વિશે લોકો જાગૃત થાય તેના માટે 58 વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે. આ લાંબા સમયગાળા દરમિયાન તેમણે 4 લાખથી વધુ લોકોને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત શું છે તેની તાલીમ આપી છે. તેમજ રાષ્ટ્રગીતનું સાચી રીતે ગાન કેમ કરાય તેની તાલીમ આપી ચુક્યા છે.
કરજણ તાલુકાના સગડોળ ગામના 67 વર્ષીય હરેન્દ્રસિંહ દાયમા યુવાન વયથી જ દેશભક્તિના રંગે રંગાયેલા છે. વર્ષ 1974માં તેમણે વર્તમાનપત્રોમાં રાષ્ટ્રધ્વજ કેવી રીતે ફરકાવવો? તે વિશે સમાચાર વાંચ્યા અને અહીંના સરદાર ભવનમાં તાલીમ લેવા માટે આવ્યા. સરદાર ભવનમાં તેમણે રમણભાઈ રાણા પાસે આ બાબતની થોડા કલાકની તાલીમ લીધી. ત્યારથી જ તેમણે લોકોને તાલીમ આપવાનું શરૂ કર્યું. એ દરમિયાન, તેમણે મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો.
હાલમાં સરદાર ભવનના નિયામક તરીકે કાર્યરત હરેન્દ્રસિંહ દાયમા કહે છે, અમે શૈક્ષણિક કે સામાજિક સંસ્થામાં છાત્રોને તાલીમ આપવાનું કાર્ય કરીએ છીએ. સંસ્થાના આમંત્રણથી અમે જે તે સંસ્થામાં જઈને છાત્રોને રાષ્ટ્રધ્વજને ફરકાવવા માટે કેવી રીતે ગડી વાળવી, સ્તંભમાં સૂતરની દોરી કેવી રીતે બાંધવી, બિનસરકારી સંસ્થાનોમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવું, રાષ્ટ્રગાન કેવી રીતે કરવું જેવી મહત્વની બાબતો છાત્રોને શીખવવામાં આવે છે. ધ્વજવંદન માટે સૂતરની દોરીનો ઉપયોગ કરવો જોઇએ. બર્ફિલા પ્રદેશમાં નાના-નાના અંકોડાવાળી સાંકળ વાપરવામાં આવે છે.
હરેન્દ્રસિંહ દાયમા જણાવે છે, “સામાન્ય રીતે મહદ્દઅંશે રાષ્ટ્રગીતના ગાન વખતે લોકો દ્વારા તેના શબ્દોનું ઉચ્ચારણ યોગ્ય રીતે થતું નથી. જેમ કે, સિંધુના બદલે સિંધ, ઉત્કલના સ્થાને ઉચ્ચછલ, બંગને બદલે બંગા, તરંગને સ્થાને તરંગા અને ગાહેના બદલે ગાયે એવા શબ્દો ગાવામાં આવે છે. અમે છાત્રોને સાચા શબ્દોના ઉચ્ચારણ સાથે 52 સેકન્ડમાં ગાન કરતા શીખવીએ છીએ.
સરદાર ભવન દ્વારા રાષ્ટ્રીય પ્રશિક્ષણ અંતર્ગત આ અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાન ગુજરાત પૂરતું સીમિત ના રહેતા આસામના દુર્ગમ વિસ્તારોમાં પણ કેમ્પ યોજી ઉક્ત બાબત શીખવવામાં આવી છે. શ્રી દાયમા દ્વારા આ ઉપરાંત ૫૦ વર્ષથી વસંત-રજબ કોમી એકતા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વસંત હેગિષ્ઠે અને રજબ લાખાણી અમદાવાદમાં કોમી રમખાણો દરમિયાન સદ્દભાવના માટે શહાદત વહોરી હતી.