ગુજરાતમાં રહેતા મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યે અનોખી ભક્તિ, મોદીજીને માને છે પોતાના આદર્શ

|

Mar 26, 2021 | 12:12 AM

ગીર સોમનાથના વેરાવળના ફીરોઝ બ્લોચ નામના મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યેની અનોખી ભક્તિ સામે આવી છે. ફીરોઝ પોતે નાનપણથી હિન્દુ એરીયામાં રહેતા ત્યારે સ્કૂલમાં પોતે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવતા હતા,

ગીર સોમનાથના વેરાવળના ફીરોઝ બ્લોચ નામના મુસ્લિમ યુવકની હિન્દુ ધર્મ પ્રત્યેની અનોખી ભક્તિ સામે આવી છે. ફીરોઝ પોતે નાનપણથી હિન્દુ એરીયામાં રહેતા ત્યારે સ્કૂલમાં પોતે ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવતા હતા, સાથે તેઓ હિન્દુ ધર્મ, કથાકારો અને મોદીજીને પોતાના આદર્શ માને છે. પોતે હિન્દુ ધર્મના ઘણા પુસ્તકોનું વાંચન અને લેખન પણ કરેલ છે.

 

નાનપણમાં ફિરોઝ પરીવાર સાથે હિન્દુ વિસ્તારમાં રહેતા હતા, ત્યારથી જ તેમને રામાયણ અને મહાભારત જોવાનો ખૂબ જ શોખ હતો અને પછી તેમનુ વાંચન કરવાનુ શરૂ કર્યુ અને પોતે જે સ્કૂલમાં ભણતા ત્યાં પણ ભગવાન શ્રી કૃષ્ણના પાત્ર પર અભિનય કરતા હતા. તેમના મતે ભારતની હિન્દુ સંસ્કૃતિ તે હજારો વર્ષ જુની સંસ્કૃતિ છે. ફિરોઝે સૌ પ્રથમ સ્વામી વિવેકાનંદના આદર્શ અને તેમના જીવન પર પણ વાંચન કર્યું હતું. ભારત એક એવો દેશ છે કે જેણે દરેક જાતી અને લોકોને આશરો આપનાર દેશ છે.

 

 

 

હિન્દુ ધર્મના દરેક વસ્તુઓને તેઓ આવકારે છે, જેમાં મંદિરમાં ઘંટ વગાડવો, કપાળમાં ચાંદલો કરવો, નમસ્તે કરવાની રીત આ સહીત દરેક વસ્તુઓ જે હિન્દુશાસ્ત્રમાં ઉલ્લેખ છે, જે તેમને ખૂબજ ગમે છે. ભગવાન શ્રી કૃષ્ણના વચનો અને તેમના પુસ્તકનું વાંચન કરી જીવનમાં ઉતારે છે.

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ એક સાધુ-સંત માની રહ્યા છે અને તેમના મતે તેઓ એક ઈશ્વરના અવતાર છે તેવુ ફિરોઝનું માનવુ છે. દેશમાં રામમંદિરનો મુદ્દો હોય કે ઐતિહાસિક મહત્વના નિર્ણય હોય તે માત્ર ને માત્ર મોદી એ જ લીધા છે માટે તેઓ તેમને ભગવાન માને છે. ફીરોઝના ઘરમાં મોટાભાગના હિન્દુ દેવી-દેવતાઓના પોસ્ટરો લગાવેલા જોવા મળે છે.

 

તેઓ દેશના કથાકાર મોરારી બાપુ, રમેશભાઈ ઓઝાની કથા પણ સાંભળવા જાય છે અને તેમના વિચારો સાથે પોતે પુસ્તક પણ લખેલુ છે અને તેમનુ વિમોચન પણ મોરારી બાપુના હસ્તે કરાવેલ છે. પોતે ખૂબ જ ગીચ મુસ્લીમ વિસ્તારમાં રહે છે. ત્યારે તેમણે ઘણી બધી ટીકાઓનો પણ સામનો કરવો પડે છે, પરંતુ તેમના મતે પોતે જે રસ્તા પર ચાલે છે તે જ સાચો રસ્તો છે અને તેનું જ તે પાલન કરશે.

Next Video