
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલના લખતર તાલુકામાં આવેલા એક ગામ નજીક અકસ્માતમાં મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે આ બંને કોન્સ્ટેબલ બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક કોઇ જંગલી પશુ આડે આવી ગયુ હતુ. બંને પોલીસ કોન્સ્ટેબલ નીચે ફસડાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે પછી બંને પોલીસ કોન્સ્ટેબલને નજીકની હોસ્પિટલ લઇ જતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને લઇને પોલીસ જગત અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઇકાલે 12 નવેમ્બરે મોડી સાંજે સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને ગાંધીનગરમાં કમાન્ડો ટ્રેનિંગમાં ફરજ બજાવતા બંને પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગરથી ગાંધીનગર કોર્ટ પહોંચ્યા હતા. જે પછી મોડી સાંજે તેઓ પરત ફરી રહ્યા હતા. તે સમયે લખતર તાલુકાના ઝંમર ગામ નજીક કોઇ પશુ પોલીસ કોન્સ્ટેબલના બાઇક સાથે ટકરાઇ ગયુ હતુ. જે પછી બંને કોન્સ્ટેબલ બાઇક પરથી ફસડાઇ પડ્યા હતા. જેમને જોઇને આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
Two Constables die in an accident in #Surendranagar#Gujarat #TV9News pic.twitter.com/vnHmBTA1oG
— Tv9 Gujarati (@tv9gujarati) November 13, 2022
કેટલાક લોકોએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બંને કોન્સ્ટેબલને જોઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં કોલ કર્યો હતો. જે પછી બંને 108 દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ બંનેના મૃત્યુ થઇ ગયા હતા. બંને પોલીસ કોન્સ્ટેબલના મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ થતા જ DySP, DSP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)