
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરમાં નવરાત્રીના આયોજનન માટેની બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી.સંપટે જણાવ્યું હતું કે, દરેક આયોજકોએ નવરાત્રી માટેની અરજી, આયોજકનું આધાર કાર્ડ, જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો), મહિલા તેમજ પુરુષ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો, ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્ર, ઇલેક્ટ્રીક ફીટીંગ અંગેનું ગવર્મેન્ટ માન્ય ઇલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર, જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગતો, CCTV કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગતો, સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિનું નામ/સરનામું સહિતની વિગતો, આર્ટિસ્ટનું સંમતિપત્ર, વીમા પોલિસી અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ફરજિયાત પણે કરવાની રહેશે.
આ પણ વાંચો: Surendranagar News : લીંબડીમાં ગેરકાયદેસર ધમધમતી નોનવેજની લારીઓ બંધ કરાવવા ઉગ્ર રજૂઆત
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રાસ ગરબાના સ્થળની આસપાસ ટ્રાફિક ન થાય તે માટે દરેક આયોજકોએ ગરબાના સ્થળથી દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે નાઈટવિઝન વાળા કેમેરા લગાડવાના રહેશે. તથા તેનું રેકોર્ડિંગ પોલીસ માગે ત્યારે આપવું પડશે. ગરબાના સ્થળે પુરુષ અને મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવાના રહેશે. સુપ્રીમ કોર્ટે લાઉડ સ્પીકર વગાડવા માટે રાત્રે 12 વાગ્યા સુધીની મંજૂરી આપી છે તે મુજબ દરેક આયોજકોને અનુસરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત તાજેતરમાં યુવાનોમાં વધી રહેલી હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને ચિંતા વ્યક્ત કરતા કલેક્ટર એ જણાવ્યું હતું કે, દરેક આયોજકોએ CPR ની જાણકારી હોય તેવા સ્વયંસેવકો રાખવાના રહેશે. વધુમાં તેમણે આરોગ્ય વિભાગને મેડિકલની ટીમ અને 108 એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવા અને સમગ્ર નવરાત્રી દરમિયાન આવો કોઈ પણ કેસ સામે આવે તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય તે પ્રમાણેનું આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પી.એન. મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ સહિત સંબધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
(Input Credit: SAJID BELIM)
Published On - 12:10 pm, Sun, 8 October 23