Surendranagar News: સુરેન્દ્રનગરના વઢવાણમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે વડોદ ડેમમાં પૂરતું પાણી ભરાયું નથી. જેથી આસપાસના ગ્રામજનોને સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી. ત્યારે હાલાકી ભોગવી રહેલા ખેડૂતોએ નર્મદા કેનાલ મારફતે વડોદ ડેમમાં પાણી ભરવા માગ કરી છે.
જેથી આગામી શિયાળુ પાક ન બગડે. મહત્વનું છે, આ વડોદ ડેમમાંથી લીંબડી, ગડથલ, વસ્તડી અને રાસકા સહિતના ગામોને સિંચાઇ અને પીવા માટેનું પાણી મળે છે. પરંતુ અપૂરતા વરસાદના કારણે ડેમ ખાલી રહ્યા છે. ડેમ ખાલી રહેતા ખેડૂતોને પાણી મળી રહ્યું નથી.
ખેડૂતો આગામી શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે તેમની માગ છે, કે નર્મદા નિગમની કેનાલ મારફતે વડોદ ડેમમાં પાણી છોડવામાં આવે. જેથી પાકને સિંચાઇ માટે પાણી મળી રહે. ખેડૂતોએ અનેક વખત તંત્રને મૌખિક અને લેખિત રજૂઆત પણ કરી ચુક્યા છે. છતાં તેમને ઉડાઉ જવાબ મળે છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. જો વડોદ ડેમમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોનો શિયાળુ પાક પણ બગડશે. પાણી નહીં મળે અને પાક બગડશે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ખેડૂતોએ આપી છે.
ઉલ્લેખનીય છે, સુરેન્દ્રનગરમાં કપાસ, મગફળી, એરંડા, વરિયાળી, જુવાર, બાજરી સહિતનો પાક લેવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે મોટી માત્રામાં કરેલું કપાસ અને મગફળીનો વાવેતર મોટાભાગે નિષ્ફળ ગયો હતું, ત્યારે શિયાળુ પાકને લઇ સિંચાઇના પાણી માટે વડોદ ડેમ ભરવાની માગ ખેડૂતો કરી છે. મહત્વનું છે, તંત્ર તેમની રજૂઆતને સાંભળીને ઉકેલ લાવે તે જરૂરી છે.
મહત્વનું છે કે રાજ્યના મોટા ભાગના ડેમ ભરાઈ ગયા છે, તેમ છતા અમુક જિલ્લામાં ઓછો વરસાદના કારણે ડેમ ખાલી રહ્યા છે, ત્યારે ડેમ ભરવા માટે ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી છે, ખેડૂતોના પાકને એવા સમયે પાણી નથી મળી રહ્યું જ્યારે તેમના પાકને પાણીની સૌથી વધારે જરૂર છે. આખા વર્ષની મહેનત દિવાળી પર પાકતી હોય છે, ત્યારે અત્યારે પાક લણવાનો સમય થઈ રહ્યો છે.
(Input Credit: SAJID BELIM)