સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં નવરાત્રિ(Navratri 2022) દરમિયાન શેરી ગરબીઆેમાં તેમજ પાર્ટી પ્લોટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો વપરાશ વધતાં પરંપરાગત તબલા, ઢોલક, ડમરૂ, મંજીરા સહિતના પરંપરાગત વાજીંત્રો (Traditional instruments) બનાવવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો છે. વઢવાણ (Wadhwan) સહિત જિલ્લામાં અંદાજે 50 થી વધુ પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. જેમની રોજીરોટીનો પ્રશ્ન પણ સર્જાયો છે.
સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. માતાજીની આરાધનાના આ મહાપર્વમાં સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ શેરી ગરબીઆેમાં જમાવટ હોય છે અને નાની બાળાઆેથી લઇ મોટી ઉંમરની મહિલાઓ ગરબે ઘુમતી હોય છે ત્યારે શેરી ગરબીમાં સુરમધુર તાલ પુરા પાડતા જુના વાજીંત્રોનું સ્થાન હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણોઆે (Electronic instrument) લઇ લીધુ છે. જેને લઇને જુના વાજીંત્રો બનાવવાનો ઉધોગ મંદીના વમળમાં ઘેરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પરિવારો દ્વારા વર્ષોથી પરંપરાગત જુના વાજીંત્રો બનાવવામાં આવે છે. જેમાં ઢોલક, તબલા, નાના મોટા મંજીરા, ડ્રમ, ડાક સહીતના સાધનો બનાવવામાં આવે છે પરંતુ વર્તમાન સમયમાં DJ સહીતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સામે આ જુના વાજીંત્રો પોતાનુ અસ્તિત્વ બચાવવા રીતસર ઝઝુમી રહ્યાં છે. તેમજ આ ઉધોગ સાથે જોડાયેલા કારીગરો તેમજ તેમના પરિવારજનોની હાલત પણ કફોડી બની છે.
અગાઉ નવરાત્રી પહેલા એકથી દોઢ મહિના સુધી ઘરાકી રહેતી હતી પરંતુ કોરોનાકાળ બાદ હાલ માંડ 70 ટકા ઘરાકી છે. કારીગરો દ્વારા મોટા પ્રમાણમાં વાજીંત્રો બનાવી તૈયાર કરી દેવામાં આવ્યા છે પરંતુ ઘરાકી ન હોવાના કારણે આ તૈયાર માલ આ વર્ષે પડ્યો રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. સુરેન્દ્રનગર વઢવાણ તેમજ જિલ્લામાં અંદાજે 50 થી વધુ પરિવારો આ ઉધોગ સાથે જોડાયેલા છે ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના આક્રમણ સામે આગામી સમયમાં આ પરંપરાગત વાજીંત્રો લુપ્ત થઇ જાય તેવી પણ શક્યતા છે.
(ઈનપૂટ ક્રેડિટ – સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)