Breaking News: 100 પરિવારોને રસ્તા પર લાવી દેતી ‘પોલીસ-સરકાર’ની જુગલબંધી, સત્તાની રહેમનજરે નકલી અધિકારીઓનું રાજ કે પછી… ?

સુરતના નાસીર નગરમાં 100 થી વધુ મકાનોના ડિમોલિશનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. આ ડિમોલિશન કોની પરવાનગીથી થયું તે જ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

Breaking News: 100 પરિવારોને રસ્તા પર લાવી દેતી પોલીસ-સરકારની જુગલબંધી, સત્તાની રહેમનજરે નકલી અધિકારીઓનું રાજ કે પછી... ?
| Updated on: Jun 06, 2026 | 5:04 PM

સુરતના નાસીર નગરમાં 30 મે અને 1 જૂનના રોજ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી, જેમાં લગભગ 100થી વધુ મકાનોને તોડી પડાયા હતા. આ ડિમોલિશન કોની પરવાનગીથી થયું તે જ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સ્થાનિકોનો આક્ષેપ હતો કે, કોઈપણ પ્રકારની નોટિસ વિના જ આ કાર્યવાહી કરાઈ છે.

સમગ્ર મામલે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે, મનપાએ આ ડિમોલિશનની મંજૂરી આપ્યાનો નનૈયો ભણ્યો છે. કોંગ્રેસ નેતાનો આરોપ છે કે, ડિમોલિશન થયું ત્યારે ચુસ્ત પોલીસ કાફલો અને પાલિકાના સભ્યો હાજર હતા. સુનિયોજીત ષડયંત્ર હેઠળ મકાન તોડી પડાયાનો આરોપ છે.

આશ્ચર્યની વાત એ છે કે, અજાણ્યા લોકોએ પોલીસની હાજરીમાં આ મકાનો તોડી પાડ્યા છે, જેને પગલે હવે સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. સવાલ એ પણ થઈ રહ્યો છે કે, અસલી પોલીસે નકલી અધિકારીને બંદોબસ્ત કેવી રીતે આપી દીધો?

બીજી તરફ, સુરત પાલિકાના અધિકારીઓ આ ડિમોલિશન અંગે કોઈ જ સ્પષ્ટતા કરી રહ્યા નથી અને પાલિકાએ આ ડિમોલિશન ન કરાવ્યું હોવાનું રટણ કરી રહ્યા છે. હવે એ મોટો સવાલ ઊભો થયો છે કે, જો પાલિકાએ ડિમોલિશન નથી કર્યું, તો નકલી અધિકારી બનીને આવનારા આ લોકો કોણ હતા? આ ડિમોલિશનમાં પોતાના ઘર ગુમાવનારા સ્થાનિક લોકો હવે ન્યાયની માગ કરી રહ્યા છે.

60 વર્ષથી વસાહત છે, તો તે ગેરકાયદે કેવી રીતે થઈ ગઈ? તેને લઈને સવાલો ઊઠ્યા છે. લોકોને મળતા બિલ પર પાલિકાનું નામ છે, તો ગેરકાયદે દબાણ ક્યાંથી? એવામાં જ્યારે સ્થાનિકો સાથે આ અંગે રજૂઆત કરવા કોંગ્રેસ નેતા પાલિકા પહોંચ્યા, તો તેમને કહેવાયું કે પાલિકાએ તો દબાણ દૂર કરવા કહ્યું જ નથી.

દાવો છે કે, સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળે ગઈ હતી પરંતુ ડીમાર્કિંગ કરવા માટે ગઈ હતી. ડીમાર્કિંગ માટે તેમણે પોલીસનો બંદોબસ્ત પણ માગ્યો હતો. જો કે, સમગ્ર મામલે ઘર વિહોણા બનેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે પરંતુ તેમની ફરિયાદ ન નોંધાતી હોવાના આક્ષેપ છે. પરિવારનું કહેવું છે કે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા કેમ ન અપાઈ? હાલ તેમની સ્થિતિ કફોડી બની છે.

Ahmedabad Breaking News: મોટા અધિકારીઓ સાથેના ફોટાથી જીતતા હતા વિશ્વાસ, ઠગ દંપતીએ 15 લોકોને ફસાવી ₹20 કરોડથી વધુની છેતરપિંડી કરી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us