યુક્રેન ક્રાઈસિસ: સુરતના ચાર સહિત કુલ 450 વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચશે, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના ચર્નોવિસ્ટ્રીની DSMU કોલેજના

છેલ્લા બે દિવસમાં ભારત સરકાર દ્વારા મિશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થકી 450 વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે પણ વધુ 450 વિદ્યાર્થીઓ બોર્ડર સુધી પહોંચશે. જેઓને તબક્કાવાર એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

યુક્રેન ક્રાઈસિસ: સુરતના ચાર સહિત કુલ 450 વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચશે, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના ચર્નોવિસ્ટ્રીની DSMU કોલેજના
| Edited By: | Updated on: Feb 28, 2022 | 3:49 PM

રશિયા (Russia) અને યુક્રેન (Ukraine) વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધમાં સુરત (Surat ) સહિત સમગ્ર દેશના વિદ્યાર્થીઓની હાલત કફોડી થવા પામી છે. અભ્યાસ માટે યુક્રેન પહોંચેલા વિદ્યાર્થીઓની વતન પરત ફરવા માટે હાલત કફોડી થઈ છે. ગઈકાલે કેન્દ્ર સરકારના મિશન ગંગા અંતર્ગત શહેરના છ વિદ્યાર્થીઓ હેમ ખેમ સુરત પહોંચ્યા હતા, જ્યારે આજે વધુ ચાર વિદ્યાર્થીઓ બોર્ડર સુધી પહોંચવાની તૈયારીમાં છે અને સંભવતઃ એક-બે દિવસમાં તેઓ પણ સુરત પહોંચશે.

યુક્રેનના ચર્નોવિસ્ટ્રી શહેરમાં ડીએસએમયુ કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતાં શહેરના ચાર વિદ્યાર્થીઓ આજે બસમાં સવાર થઈને પોલેન્ડની બોર્ડર સુધી પહોંચી ચુક્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓનો પરિવારજનો સાથે સંપર્ક થયા બાદ તેઓ હવે આગામી સમયમાં રેસ્કયુ મિશન અંતર્ગત વિશેષ ફ્લાઈટ થકી સુરત પહોંચશે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, હાલ યુક્રેનમાં સ્થિતિ દિવસેને દિવસે ડરામણી થઈ રહી છે અને વહેલી તકે તમામ વિદ્યાર્થીઓ હેમખેમ પરત વતન પહોંચે તે માટે રઘવાયા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં ભારત સરકાર દ્વારા મિશન ગંગા હેઠળ એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થકી 450 વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આજે પણ વધુ 450 વિદ્યાર્થીઓ બોર્ડર સુધી પહોંચશે. જેઓને તબક્કાવાર એરલિફ્ટ કરવાની કામગીરી હાથ ધવામાં આવશે. સુરત શહેરના સર્કિટ હાઉસ ખાતે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી નીકળવામાં સફળ રહેલા અને હેમખેમ વતન પરત ફરેલા સુરત શહેરના છ વિદ્યાર્થીઓનું પરિવારજનો સાથે મિલન થયા બાદ ભાવુક દ્રશ્યો સર્જાવા પામ્યા હતા.

છેલ્લા એક સપ્તાહથી પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતા, ત્યારે અચાનક નજર સમક્ષ પોતાના કાળજાના કટકાને જોઈને તમામ વાલીઓના હર્ષના આસું જોવા મળ્યા હતા. ત્યારે આજે યુક્રેનથી પોલેન્ડની બોર્ડર સુધી શહેરના વધુ ચાર વિદ્યાર્થીઓ પહોંચી ચુક્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે શહેરના જે વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચ્યા છે તે પૈકી હર્ષિત, દેવલ અને ઋષભના નામ જાણવા મળ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ જે બસોમાં સવાર છે, તેમાં દેશના 450 વિદ્યાર્થીઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

કેટલાક વિદ્યાર્થીઓ સંપર્ક વિહોણા થયા હોવાની પણ ચર્ચા

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે 1500થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડિકલ સહિતના અલગ – અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા હતા. જે પૈકી હાલ માત્ર છ વિદ્યાર્થીઓ જ વતન પરત ફર્યા છે અને આગામી દિવસોમાં આ આંકડો સતત વધશે. પરંતુ યુક્રેનમાં યુદ્ધને કારણે કેટલાક વિદ્યાર્થીઓનો છેલ્લા એક – બે દિવસથી વાલીઓ સાથે સંપર્ક ન થતાં પણ સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું જાણવા મળ્યું છે. વિજળીના અભાવે મોટા ભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન માત્ર જરૂરિયાતના સમયે જ ચાલુ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ વાલીઓનો મોબાઈલ પર સંપર્ક ન થતાં તેઓના જીવ તાળવે ચોંટ્યા છે.

સમિતિની શાળાના આચાર્યનો પુત્ર પણ યુક્રેનમાં ફસાયો હતો

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર નગર પ્રાથમિક શિક્ષણ સિમિતની શાળામાં આચાર્યનો પુત્ર હાલ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો હતો. પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે તે હાલ યુક્રેનની બોર્ડર સુધી પહોંચવામાં સફળ રહ્યો છે અને સંભવતઃ આગામી બે દિવસમાં તે સુરત શહેરમાં પરત ફરશે તેવો પણ આચાર્ય દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે આચાર્ય દ્વારા પોતાના પુત્રનો મોબાઈલ પર સંપર્ક થતાં તેઓના જીવમાં જીવ આવ્યો હતો.

આ પણ વાંચો : Ukraine-Russia War Effect : રફ ડાયમંડના ભાવ 10% વધ્યા, યાર્ન પણ 2 થી 3 રૂપિયા મોંઘુ

આ પણ વાંચો : Surat: ત્રણ વર્ષની દીકરીને સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની લાલચ આપી હીરા વેપારી પાસેથી 3.10 લાખ રૂપિયા પડાવી લીધા

Follow Us
Loading...
Unable to load recommendations.