
Surat: ખૂનની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો, આરોપી સામે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાની કોશિશ અંગેનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 27 વર્ષથી નાસ્તો ફરતો હતો. જો કે આખરે પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પીસીબી પોલીસની ટીમને 27 વર્ષથી ખૂનની કોશિશના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પીસીબી પોલીસે બાતમીના આધારે સુરતના સચિન વિસ્તારમાંથી આરોપી ડૉક્ટર ઉર્ફે ડાકા વનમાળી ઉર્ફે બનમાળી પ્રધાન (ઉ.51)ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી પોતે વર્ષ 1997ના મેં મહિનામાં કતારગામ જૂની GIDC ખાતે રહેતો હતો. આ દરમ્યાન 22-5-1997 ના રોજ પોતે તથા તેનો મિત્ર પ્રકાશ, અરુણ અને રવિ સાથે ભેગા મળી સુમુલ ડેરી રોડ પાસે દેહવ્યાપારનો ધંધો કરતા અસલમ નામના ઈસમ પાસે ગયા હતા. જ્યાં દેહવ્યાપાર કરતી મહિલાના ભાવ તાલ બાબતે તેની સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં તેઓએ અસલમના માથાના ભાગે અસ્ત્રાથી તેમજ લાકડાના ફટકાથી માર માર્યો હતો આ બાબતે પોલીસે ગુનો નોંધી તેને વોન્ટેડ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો: Surat Video: પલસાણામાં ATM તોડી ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં, CCTVમાં કેદ થયા દ્રશ્યો
આ ગુનામાં પોલીસ તેને શોધતી હોવાથી આરોપી શહેર છોડી પોતાના વતન ઓડીશા ખાતે ભાગી ગયો હતો જ્યાં એકાદ અઠવાડિયું રોકાઈને કેરલ રાજ્યમાં જઇ ત્યાં કડીયા કામની મજૂરીએ લાગી વીસેક વર્ષ ત્યાં રહ્યો હતો અને ત્યારબાદ ફરી પોતાના વતન ઓડીશામાં આવી ત્યાં સાતેક વર્ષ રોકાઈને ખેતીકામ શરૂ કર્યુ હતુ. હાલમાં છેલ્લા 3 મહિનાથી સુરત પરત આવ્યો હતો અને વિસ્તાર બદલી સચિન વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. સંચા મશીનમાં કામ કરવા લાગ્યો હતો. આ સમગ્ર મામલે પીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો